ઉત્તરપ્રદેશ સરકારે ખેડૂતો માટે મુખ્યમંત્રી કૃષક દુર્ઘટના કલ્યાણ યોજના લોન્ચ કરી છે. જેના અંતર્ગત ખેતરમાં કામ કરતા ખેડૂતને ઇજા થશે કે પછી તેનું મોત થશે તો ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતને આર્થિક મદદ કરશે. ખેડૂતનું મોત થશે તો ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતના પરિવારને પાંચ લાખ સુધીની આર્થિક મદદ કરશે.
ઉત્તરપ્રદેશ સરકારે ખેડૂતો માટે જાહેર કરી યોજના
મુખ્યમંત્રી કૃષક દુર્ઘટના કલ્યાણ યોજના લોન્ચ કરી
ખેતરમાં ખેડૂતને ઈજા કે મોત થાય તો કરશે 5 લાખ રૂ. સુધીની મદદ
મંગળવારે યોજાયેલી કેબિનેટની મિટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના આધારે ખેડૂતોને મુખ્યમંત્રી કૃશક દુર્ઘટના કલ્યાણ યોજનાના આધારે દુર્ઘટનામાં મોત કે દિવ્યાંગ થવા પર સરકાર મદદ કરશે. આ યોજના મુજબ ખેતરમાં કામ કરતી વખતે અકસ્માત દરમિયાન ખેડૂત અથવા તેના પરિવારના કોઈ સભ્યના મોત માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય ખેડૂત અથવા તેનો પરિવાર 60 ટકાથી વધુ વિકલાંગ હોય તો બે લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. તેમાં 18 થી 70 વર્ષના ખેડૂતો અને તેમના પરિવારના સભ્યો સામેલ હશે. આ યોજના 14 સપ્ટેમ્બર 2019થી લાગુ થયેલી ગણાશે.
પ્રદેશમાં આ યોજનાથી લગભગ 2 કરોડ 38 લાખ 22 હજાર ખેડૂતો લાભ મેળવશે. મંત્રીમંડળની બેઠક બાદ મળતી માહિતીમાં જણાવાયું કે આ યોજનાના આધારે પ્રદેશના સીમાંત ખેડૂત, નાના ખેડૂતો, મધ્યમ ખેડૂતો અને મોટા ખેડૂતો દરેકને લાભ મળશે.
કેબિનેટ મીટિંગમાં કુલ 13 નિર્ણય લેવામાં આવ્યા હતા. આ સાથે જ 2020-21 માટે નવી આબકારી નીતિ પણ જાહેર કરવામાં આવી. જેના આધારે નવા લાયસન્સ નિયમ - દેશ દારૂને માટે 10 ટકા, વિદેશી દારૂ માટે 20 ટકા અને બિયર માટે 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.