ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે પાંચ જગ્યા પસંદ કરી છે. પાંચેય સ્થાન સાધુ સંતોની ઇચ્છા અનુસાર પંચકોશી પરિક્રમાના પરિધથી બહાર છે. જેથી ભવિષ્યમાં કોઇ પણ પ્રકારનો વિવાદ ન થાય.
યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે પાંચ જગ્યા પસંદ કરી
પાંચેય સ્થાન સાધુ સંતોની ઇચ્છા અનુસાર પંચકોશી પરિક્રમાના પરિઘથી બહાર
મુસ્લિમ પક્ષકારને કઇ જમીન આપવામાં આવશે, તેના પર કોઇ નિર્ણય નથી લેવાયો
મુસ્લિમ પક્ષકારને કઇ જમીન આપવામાં આવશે તેના પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બરે અયોધ્યા કેસના ચુકાદામાં પ્રદેશ સરકારને મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાના આદેશ આપ્યા હતા.
એવું કહેવાય છે કે આ જમીન અયોધ્યાના કોઇ પ્રમુખ સ્થાન પર હોવી જોઇએ. અયોધ્યા પ્રશાસને મસ્જિદ માટે જે જગ્યાઓની પસંદગી કરી છે તેમાં મલિકપુરા, ડાભાસેમર, મસોધા, મીરજાપુર, શમસુદ્દીનપુર અને ચાંદપોરના ગામમાં આવેલી જમીન છે. આ તમામ જમીન અયોધ્યામાંથી નીકળતા અને અલગ અલગ શહેરોને જોડતા મુખ્ય રસ્તા પર છે.
અયોધ્યા પ્રશાસને શાસનને મોકલેલા ચાર સ્થાન અયોધ્યા-ફૈઝાબાદ માર્ગ, અયોધ્યા-બસ્તી માર્ગ, અયોધ્યા-સુલતાનપુર માર્ગ અને અયોધ્યા-ગોરખપુર માર્ગની પસંદગી કરી છે. પાંચમું સ્થાન રાજમાર્ગ પર પરિક્રમા માર્ગથી દૂર આવેલું છે. પસંદ કરાયેલી જમીનો પર ગામવાસીઓનો ગેરકાયદે કબજો છે.
આ જમીન પર ગામના લોકો ખેતી કરી રહ્યા છે. ગામની કેટલીક મહિલાઓ તે જમીન પર છાણાં થાપે છે.
પંચકોશીય પરિક્રમા ૧પ કિ.મી.ના પરિધમાં છે. જેને અયોધ્યાનું પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. પંચકોશી પરિક્રમા દર વર્ષે ચોમાસામાં બે દિવસની હોય છે. શ્રદ્ધાળુઓ પહેલાં સરયુમાં ડૂબકી લગાવે છે અને ત્યાર બાદ શહેરની ચારે બાજુ ૧પ કિ.મી.ની પરિક્રમા કરે છે. હરિદ્વાર, પ્રયાગરાજ અને કાશીથી લગભગ પ૦,૦૦૦ સાધુ-સંતો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવે છે.