ગૌતમ અદાણીએ જે સ્ટેમ્પ ડ્યૂટીના નાણાં ભરવાના બાકી છે તેનો ઉપયોગ કોરોના મહામારીમાં કરો : હાઇકોર્ટમાં અરજી
ગૌતમ અદાણી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાનો મામલો
હાઈકોર્ટમાં અરજદારે કરી અરજી : 1 હજાર 400 કરોડની મુંદ્રા પોર્ટની સ્ટેમ્પ ડ્યુટી છે બાકી
2005 થી 2017 સુધીના સમયગાળાની ડયુટી ન ભર્યાનો આરોપ : તત્કાલ સુનાવણીની અરજદારની માંગ
ગૌતમ અદાણી દ્વારા નથી ભરાઈ સ્ટેમ્પ ડ્યૂટી
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની સ્ટેમ્પ ડ્યૂટી ન ભરવાનો વિવાદ ફરીવાર ગાજ્યો છે. ગૌતમ અદાણી દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી ન ભરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અદાણી દ્વારા વર્ષ 2005થી 2017 સુધી સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી નથી. આ મુદ્દા પર અગાઉ બાકી રહેતા નાણાં ભરવા માટે ગૌતમ અદાણીને હાઇકોર્ટ દ્વારા જ આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ નાણાંનો કોરોના મહામારીમાં ઉપયોગ લેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે, આટલું જ નહીં સમગ્ર મામલે તાત્કાલિક સુનાવણી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગૌતમ અદાણીએ કુલ 1 હજાર 400 કરોડ રૂપિયા ન ભરવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર સામે પણ ગંભીર સવાલ ઊભા થાય છે કે સરકારએ 2017 બાદ આજ સુધી આ મુદ્દે એફિડેવિટ કેમ આપી નથી?
અદાણીએ 1400 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની બાકી
સમગ્ર મામલે અરજદાર વકીલ જૈમિની બેન પટેલે જણાવ્યું કે વર્ષ 2017માં અરજદાર સંજય બાપત દ્વારા અરજી કરવામાં આવી હતી અને તે સમયે કાગળના આધારે સ્પષ્ટ હતું કે અદાણી દ્વારા 2007થી 2017 સુધી ટેક્સ ભરવામાં આવ્યો ન હતો. આ મુદ્દે RTI પણ કરવામાં આવી હતી જેમાં કંપની દ્વારા ખુલાસામાં સેઝ એક્ટનો સહારો લેવામાં આવ્યો હતો પરંતુ તે એક્ટમાં પણ સ્પષ્ટ છે કે ટેક્સ ભરવાનો રહે જ છે.
ચાર ચાર વર્ષ વીતી ગયા છતાં સરકાર કેમ એફિડેવિટ ફાઇલ નથી કરતી?
વકીલે મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે 2017માં આ મામલે બધુ સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં સરકાર આજે 2021 થઈ ત્યાં સુધી એવું જ કહી રહી છે કે અમે એફિડેવિટ ફાઇલ કરવાના છીએ. જોકે સરકાર દ્વારા આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
અદાણી પાસેથી લેવાના થતાં 1400 કરોડ રૂપિયા પ્રજા માટે વાપરો : અરજદાર
વકીલ જૈમિનીબહેને કહ્યું કે મહામારીના કારણે અમે વિચાર્યું કે જો અદાણીએ કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થાય છે અને તે નાણાં તો પબ્લિકના જ છે અને જો આ અરજીની સુનાવણી જલ્દી થાય તો પ્રજાને પણ સહાય થઈ શકે છે. 1400 કરોડ રૂપિયા અદાણી પાસેથી લેવાના થાય છે અને જો તે નાણાં લઈને પ્રજાના હિત માટે વાપરવામાં આવે તો સુવિધામાં ઊભી કરી શકાશે. વકીલે કહ્યું કે જો આ નાણાંનો ઉપયોગ પ્રજાના હિત માટે કરવામાં આવશે તો તે સરકારને પણ મદદ થશે અને હાલમાં જે RBI પાસેથી લોન લેવી પડી રહી છે તે લોન નહીં લેવી પડે.
ચીફ જસ્ટિસને કરવામાં આવી રજૂઆત
નોંધનીય છે કે સમગ્ર મામલે અરજદાર દ્વારા ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી છે કે આ અરજી પર વહેલા સુનાવણી હાથ ધરીને સરકાર પાસે જવાબ માંગવામાં આવે અને તે દરરોજ સુનાવણી કરવામાં આવે.