વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય જનતા પોલીસ ફરિયાદ કરતાં પણ ભય અનુભવતી હોય છે. જેને લઈ હવે પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો
અમદાવાદમાં હવે નહીં ચાલે વ્યાજખોરોની દાદાગીરી
ફરિયાદ માટે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મુકાઈ
સિનિયર પોલીસ અધિકારી દર અઠવાડિયે 2 વખત પેટી ખોલશે
તપાસ કર્યા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે
ફરિયાદમાં તથ્ય હશે તો પોલીસ તાત્કાલિક પગલાં લેશે
રાજ્યમાં વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી એક્શન મોડમાં છે. આ તરફ હવે અમદાવાદ પોલીસનો એક નવતર પ્રયોગ સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે. જેથી હવે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી વ્યાજખોર વિરુદ્ધ રજૂઆત કરી શકશે. મહત્વનું છે કે, વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય જનતા પોલીસ ફરિયાદ કરતાં પણ ભય અનુભવતી હોય છે. જેને લઈ હવે પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. જોકે હવે આવા વ્યાજખોરો સામે સામાન્ય જનતા પણ જાગૃત બની ફરિયાદ આપે તે માટે પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં હાલ વ્યાજખોરો વિરુધ્ધ મેગાડ્રાઈવ ચાલી રહી છે. તો વળી અનેક માથાભારે વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય માણસ પોલીસ ફરિયાદ આપતા પણ ભયભીત બને છે. જોકે અમદાવાદ પોલીસે હાલ જે પ્રયોગ હાથ ધર્યો છે તેનાથી વ્યાજખોરોનો ભોગ બનેલ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી એટલે કે નામ છુપાવીને પણ વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપી શકશે.
શું છે પોલીસનો નવતર પ્રયોગ ?
રાજ્યમાં વધતાં જતાં વ્યાજખોરોના ત્રાસને જોતાં આવા ઇસમો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. મહત્વનું છે કે, ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. જેથી હવે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી આ પેટીમાં વ્યાજખોર વિરુદ્ધ જે રજૂઆત હશે તે કરી શકશે.
પોલીસ સ્ટેશનની પેટીમાં ફરિયાદ આવ્યા પછી શું થશે ?
પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવતર પ્રયોગને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી ફરિયાદ પેટીમાં આવતી અરજીઓના નિકાલની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપાઈ છે. આ સાથે જો ફરિયાદમાં તથ્ય હશે તો પોલીસ તાત્કાલિક પગલાં લઈ વ્યાજખોરો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરશે.