અમદાવાદના સોલા વિસ્તારમા વ્યાજખોરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ 20 ટકાના વ્યાજે રૂ 2 લાખ આપ્યા હતા. વ્યાજ સહિત રૂ 12 લાખની ઉઘરાણી કરવા અપહરણ કર્યુ હતું.
રૂ.2 લાખ આપ્યા 20 ટકાના વ્યાજે
5 લાખ ચુકવ્યા બાદ પણ 12 લાખની કરે છે ઉઘરાણી
ઉઘરાણી કરવા યુવકનુ કર્યુ અપહરણ
વ્યાજખોરને કાયદાનો ડર ના હોય તેમ પઠાણી ઉઘરાણી કરતા હોય છે. પરંતુ સોલામા આવેલા વ્યાજખોરનો કિસ્સો કંઈક જુદો છે. જૂનો મિત્ર જ વ્યાજખોર બનીને પઠાણી ઉઘરાણી કરીને યુવકનુ અપહરણ કર્યુ. ઘટનાની વાત કરીએ તો થલતેજમા રહેતા શ્રીકાંત બ્રહ્મભટ્ટએ ધંધા માટે મિત્ર ધુવલ પટેલ પાસેથી રૂ. 2 લાખ 20 ટકાના વ્યાજે લીધા. વ્યાજ સહિત રૂ.5 લાખ ચુકવ્યા બાદ પણ મિત્ર ધુવલ અને તેના પિતા મનિષ પટેલ પઠાણીની ઉઘરાણી કરતા હતા. પૈસા ઉઘરાવવા પિતા-પુત્રએ શ્રીકાંતનુ અપહરણ કરીને તેને માર માર્યો હતો. સોલા પોલીસે આ અંગે જાણ થતા આરોપીએ શ્રીકાંતને છોડીને ફરાર થઈ ગયા.
ધુવલ અને શ્રીંકાત બન્ને મિત્રો હતા. શ્રીકાંત કેફે હતો ત્યારે બન્નેની મુલાકાત થઈ હતી. શ્રીકાંતે મિત્રતામા ધુવલ પાસેથી રૂ.2 લાખ લીધા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે પૈસાની ઉઘરાણીને લઈને તકરાર થતી હતી. શ્રીકાંત બેકાર હોવાથી તેના માતા-પિતાએ સંબંધ તોડી નાખ્યો હતો. જ્યારે આરોપી મનિષભાઈએ પણ આક્ષેપ કર્યો છે કે શ્રીકાંતે મિત્રના નામે તેના દિકરા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. પરંતુ પરત ચુકવતો નહતો. જેથી તેની પાસેથી પૈસા પરત લેવા માટે તેને બોલાવ્યો હતો. વ્યાજખોરના વિવાદને લઈને સોલા પોલીસે મનિષ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મિત્ર, પૈસા અને વ્યાજની ઉઘરાણીએ મિત્રતા તો ખત્મ કરી. હાલ હવે મિત્રએ જેલના સળીયા પાછળ ધકેલાવુ પડ્યુ છે. સોલા પોલીસે મનિષ પટેલની ધરપકડ કરી છે. જ્યારે તેના પુત્ર ધુવલની શોધખોળ શરૂ કરી છે.