આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયાએ ફરી એકવાર મિત્રતાનો ધર્મ નિભાવીને ભારતને જોરદાર સમર્થન આપ્યું છે.
વેશ્વિક લેવલે રશિયાએ ફરી મિત્રતા દર્શાવી
ભારતને સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળવું જોઈએ
સંયુક્ત રાષ્ટ્રમાં હાલમાં 5 દેશોની સ્થાયી સદસ્યતા છે
આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયાએ ફરી એકવાર મિત્રતાનો ધર્મ નિભાવીને ભારતને જોરદાર સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રને સંબોધિત કરતા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવાની વાત કરતા કહ્યું કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકન દેશોનું પ્રતિનિધિત્વ વધારીને આ કામ કરી શકાય છે. સાથે જ તેમણે કહ્યું કે, ભારતને સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળવું જોઈએ. સર્ગેઈ લાવરોવે પણ બ્રાઝિલને આ ખાસ ગ્રુપમાં સામેલ કરવાની વકાલત કરી છે. જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રમાં હાલમાં 5 દેશોની સ્થાયી સદસ્યતા છે. ભારત લાંબા સમયથી આ ગ્રુપમાં સામેલ થવાની માંગ કરી રહ્યું છે.
સુરક્ષા પરિષદનું વિસ્તરણ કરવું જોઈએ
આ પહેલા ભારત સહિત 31 દેશોએ સંયુક્ત રાષ્ટ્રના સુધાર અંગે નિવેદન જાહેર કર્યું હતું. સુરક્ષા પરિષદનું વિસ્તરણ કરવાનું કહેવામાં આવ્યું હતું. નિવેદનમાં સુરક્ષા પરિષદના સ્થાયી અને અસ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની વાત કહેવામાં આવી છે. આ સાથે તેની કાર્યશૈલી સુધારવાની પણ હિમાયત કરવામાં આવી હતી, જેથી તેને સંયુક્ત રાષ્ટ્રમાં વધુ અસરકારક અને સ્વીકાર્ય બનાવી શકાય. ભારત સહિત આ દેશોએ હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સુરક્ષા પરિષદ વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનું મુખ્ય સંગઠન છે.
31 દેશોએ નિવેદન બહાર પાડ્યું
ભારત સહિત વિશ્વના 31 જેટલા દેશોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "સુરક્ષા પરિષદના સુધારા તરફની કોઈ પ્રગતિના ગંભીર પરિણામો આવી શકે નહીં. આની અસર માત્ર સંયુક્ત રાષ્ટ્રની પ્રાસંગિકતા પર જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પર પણ પડી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશો, સિદ્ધાંતો અને વચનો પર પણ તેની અસર પડશે.
ભારતની ઘણા સમયથી માંગ
મહત્વનું છે કે, ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે. રશિયા સહિત સુરક્ષા પરિષદના ઘણા વર્તમાન સભ્ય દેશોએ ભારતની માંગને યોગ્ય ઠેરવી છે, પરંતુ ચીન સતત અવરોધ ઊભો કરી રહ્યું છે. હવે રશિયાએ ફરી એકવાર ભારતને સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનાવવાની માંગ કરી છે. મોસ્કોનું કહેવું છે કે ભારત, બ્રાઝિલ જેવા દેશોને કાયમી સભ્ય બનાવ્યા વિના સુરક્ષા પરિષદ લોકતાંત્રિક ન બની શકે.