ભારતમાં કોરોના સંક્રમણ રોકવું હવે ખૂબ જ મુશ્કેલઃ માઈક રેયાન
તાજેતરમાં ભારતમાં કોરોનાના દૈનિક સંક્રમણના કેસો ૩.૫૦ લાખની નજીક પહોંચી ગયા છે અને મૃત્યુઆંક ૨,૦૦૦થી વધુ થઈ ગયો છે ત્યારે US ની વોશિંગ્ટન યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા કોવિડ -૧૯ એક અનુમાનના હેડિંગ સાથે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવી ભારત માટે ખૂબ જ ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં મે મહિનામાં કોરોના વાયરસથી દરરોજ પાંચ હજાર કરતાં વધુ લોકો મોતને ભેટશે અને મેની મધ્ય સુધીમાં દૈનિક મૃત્યુઆંક ૫,૬૦૦ને વટાવી જશે.
ભારતમાં સંક્રમણને રોકવું હવે અત્યંત મુશ્કેલ
અમેરિકાની આ થથરાવી મૂકે એવા ડરામણા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ત્રણ લાખથી વધુ લોકો જીવ ગુમાવશે. દરમિયાન ભારતમાં ભયાનક ઝડપે ફેલાઈ રહેલા કોવિડ -19 ના કોમ્યુનિટી ટ્રાન્સમિશનને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO એ જણાવ્યું છે કે ભારતમાં જે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં હવે તેને રોકવું અત્યંત મુશ્કેલ કાર્ય છે.
કોવિડ -19 ના કારણે વણસતી જતી સ્ફોટક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં WHO ના એક્ઝિક્યુટિવ હેલ્થ ડાયરેક્ટર માઈક રેયાને જણાવ્યું કે ભારતે હવે સતત વધી રહેલા સંક્રમણને કોઈ પણ ભોગે ઘટાડવાની આવશ્યકતા છે. જોકે વર્તમાન સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે સંક્રમણના ફેલાવાને રોકવાનું કામ અત્યંત મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે તેમ છતાં આપણે સૌએ સાથે મળીને કોરોનાના બેફામ સંક્રમણને રોકવા માટે જે કંઈ થઈ શકે તે બધું જ કરવું જોઈએ.
માત્ર રસીકરણથી જ બીજી લહેરને રોકી શકાય છે
આ વર્ષે ૧૫ એપ્રિલે પ્રસિદ્ધ થયેલા વોશિંગ્ટન યુનિવર્સિટીના અભ્યાસમાં જોકે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં કોવિડ-19 વાયરસની બીજી લહેરની ગતિને માત્ર વેક્સિનેશન જ ઘટાડી શકે છે. IHME ના નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે આગામી સપ્તાહોમાં ભારતમાં કોવિડ-19 વાયરસથી સ્થિતિ મહાવિસ્ફોટક બનવાની શક્યતા છે.
આ સ્ટડીમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ભારત માં આ વર્ષે ૧૦ મે સુધીમાં કોરોનાના કારણે દૈનિક મૃત્યુઆંક ૫,૬૦૦ સુધી પહોંચી જશે, જ્યારે ૧૨ એપ્રિલથી ૧ ઓગસ્ટ વચ્ચે ભારત માં ૩.૨૯ લાખ લોકોનાં મોત થશે. જુલાઈ મહિનાના અંત સુધીમાં ભારતમાં કોવિડ -19 ના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૬.૬૫ લાખને વટાવી જશે. એક એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે કે મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં દેશમાં એક જ દિવસમાં સામે આવનારા કોવિડ -19 ના નવા દર્દીઓની સંખ્યા આઠ લાખને પાર થઈ જશે. મિશિગન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડો. ભ્રામર મુખરજીના નેતૃત્વમાં કોરોના સ્ટડી ગ્રૂપે કોવિડ -19 ના પ્રકોપનું વિશ્લેષણ કરીને આ પ્રકારના ભયજનક અનુમાન કર્યા છે