ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિસ્થાપના માટે એક નવી પહેલ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે જગત જમાદાર અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ સમજૂતી
અમેરિકાએ કર્યા વખાણ
સંયુક્ત રાષ્ટ્રએ પણ આ પગલાંની કરી પ્રશંસા
ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સિઝફાયરને લઈને સમજૂતી બની છે. બંને દેશો વચ્ચે થયેલા આ કરારના અમેરિકાએ વખાણ કર્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ પગલાંને શાંતિ તરફ પગલું ગણાવ્યું. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારીકે પણ કહ્યું કે આ સકરાત્મક કદમથી બંને દેશો વચ્ચે સંવાદના અવસર પ્રદાન થશે.
શું કહ્યું અમેરિકાએ?
વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને દેશ LOC પર સિઝફાયરના કડક નિયમોનું પાલન કરવા માટે સહમત થયા છે. દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે આ એક સકારત્મક પગલું ગણી શકાય. અમે બંને દેશોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરીએ છે.
This is a positive step towards greater peace and stability in South Asia which is in our shared interest and we encourage both countries to keep building upon this progress: White House Spokesperson Jen Psaki (2/2) pic.twitter.com/HX6eTbwSr4
નોંધનીય છે કે 25 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે હોટલાઈન પર વાતચીત કરવામાં આવી હતી જે બાદ એક સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં બંને દેશો નિયમોનું પાલન કરશે તેવી સમજૂતી સધાઈ છે ત્યારે ભારતીય સેનાએ કહ્યું છે કે અમારો પ્રયાસ શાંતિ અને સ્થિરતા હાંસલ કરવો છે જે LOCની આસપાસ રહેતા લોકો માટે ફાયદાકારક રહેશે.
જવાનોની સંખ્યા નહીં ઘટે
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સમજૂતી સીઝફાયર ઉલ્લંઘનને લઈને થયો છે અને જવાનોની સંખ્યામાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં કારણ કે પાકિસ્તાનમાં આજે પણ આતંકવાદ સતત વધી જ રહ્યું છે.
ગઇકાલે હોટલાઈન પર થઈ વાતચીત
લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને બંને દેશની સેનાઓ પાછળ હટી રહી છે. LAC પર શાંતિ માટે થઈ રહેલા પ્રયાસોની વચ્ચે LOC પર પણ હલચલ વધી છે. ભારત અને ચીન વચ્ચે શાંતિની શરૂઆત બાદ પાકિસ્તાને પણ પોતાનું વલણ બદલ્યું છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ્સ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO) વચ્ચે હોટલાઇન પર વાત થઈ છે.
મુદ્દાઓ પર સધાઈ સહમતી
એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ વિવિધ સંધિઓ અને સંઘર્ષ વિરામના નિયમોનું પાલન કરવા માટે સહમતી દર્શાવી છે. આ સહમતી 24-25 ફેબ્રુઆરી મધ્ય રાત્રિથી લાગુ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે આ સમજૂતી પર કોઈ અડચણ આવે તો હોટલાઇન કોન્ટેક્ટ અથવા બોર્ડર ફ્લેગ મિટિંગ કરવામાં આવશે.
શાંતિ સ્થાપના માટે બંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન પણ આપવામાં આવ્યું
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશના DGMOએ નિયંત્રણ રેખાની સમીક્ષા કરી છે તથા વાતચીત સારા માહોલમાં થઈ છે. બંને દેશો વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે કે બંને દેશ શાંતિભંગ થાય તેવા મુદ્દા સામે એક્શન લેશે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવવા માટે વાતચીતનું પગલું ભરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને તે બાદથી જ મહિનાઓ સુધી બંને દેશ વચ્ચે વિવાદ યથાવત રહ્યો. જોકે હવે છેલ્લા ઘણા દિવસમાં આ વિવાદ પર સમાધાન માટે બંને દેશ આગળ આવ્યા છે અને સેનાઓ હવે ધીમે ધીમે પાછળ હટી રહી છે. ભારત અને ચીન વચ્ચે થયેલી આ શરૂઆતની વચ્ચે હવે પાકિસ્તાન સાથે પણ શાંતિ માટેના પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે.