ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી દેનાર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ હવે વધુ એક મોટો ધડાકો કરવા જઈ રહ્યું છે. આ અંગે હિંડનબર્ગ ફર્મે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કર્યું છે.
હિંડનબર્ગના ટ્વિટથી અટકળો તેજ
અદાણી ગ્રુપ બાદ વધુ એક ઘટસ્ફોટની તૈયારી!
હિંડનબર્ગે ટ્વિટ કરતા અબજપતિઓ ચિંતામાં
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનું નામ વર્ષ 2023ની શરૂઆતથી જ ચર્ચામાં છે. ગત 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપને લઈને એક ફર્મે જે રિપોર્ટ પબ્લિશ કર્યો, તેણે ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી દીધું છે. તેની અસર હજુ પણ જોવા મળી રહી છે, તેના કારણે દુનિયાના ટોપ-10 અમીરોમાં સામેલ રહેલા અદાણીની સંપત્તિ 60 ટકા ડૂબી ગઈ. હવે આ શોર્ટ સેલર ફર્મ વધુ એક ખુલાસો કરવાની તૈયારીમાં છે. હિંડનબર્ગના ટ્વિટમાં લખ્યું છે કે, 'Another Big One...'.
અદાણી ગ્રુપને ધરાશાયી કર્યા બાદ હવે હિંડનબર્ગના નિશાને કયું મોટું કોર્પોરેટ ગ્રુપ છે કે પછી કયા અબજપતિ? આ વાતનો ખુલાસો નથી કરાયો. 23 માર્ચે હિંડનબર્ગ ફર્મના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી જે ટ્વિટ કરાયું છે, તેમાં લખવામાં આવ્યું છે કે, 'એક નવો અને મોટો રિપોર્ટ જલ્દી...'. શોર્ટ સેલર ફર્મના આ ટ્વિટે ચિંતા એટલા માટે પણ વધારી દીધી છે, કારણ કે આ એવા સમયે કરાયું છે જ્યારે દુનિયામાં બેંકિંગ સંકટ વધ્યું છે અને એક બાદ એક બેંક ડૂબી રહી છે.
બે બેંક ડૂબી, અનેક પર સંકટ
બેંકિંગ સંકટની વાત કરીએ તો એક તરફ જ્યાં અમેરિકામાં સિલિકોન વેલી બેંક ડૂબી ગઈ છે, તો સિગ્નેચર બેંકને પણ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય અમેરિકાની અડધો ડઝનથી વધુ બેંક પર ડૂબવાનો ખતરો તોળાઈ રહ્યો છે, જેમણે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂજીજને અંડર રિવ્યૂ કેટેગરીમાં નાખેલી છે. તેમાં ફર્સ્ટ રિપબ્લિક બેંક સહિત અન્ય મોટા નામ સામેલ છે. ત્યારે બીજી તરફ અમેરિકાથી શરૂ થયેલી બેંકિંગ સુનામીએ યૂરોપની સૌથી મોટી બેંકોમાંથી એક ક્રેડિટ સુઈસને પણ પોતાની જાળમાં લઈ લીધી છે અને તેની હાલત પણ ખરાબ છે.
અત્યાર સુધી 16 કંપનીઓ પર કર્યા ખુલાસા
નાથન એન્ડરસનના નેતૃત્વ વાળી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે વર્ષ 2017 બાદ અત્યાર સુધીમાં દુનિયાની અંદાજિત 16 કંપનીઓમાં કથિત ગડબડને લઈને પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. અદાણી ગ્રુપ પર નિશાન લગાવતા પહેલા વર્ષ 2022માં તેમણે ટ્વિટર ઈન્કને લઈને પણ એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને પબ્લિશ કરેલા પોતાના રિપોર્ટમાં સ્ટોક મેનુપુલેશનથી લઈને દેવા સુધીના ગંભીર સવાલ ઉભા કર્યા હતા. જોકે, અદાણી ગ્રુપ તરફથી તેને ફગાવી દેવાયા હતા, પરંતુ રિપોર્ટે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર ઉભી કરી તે સૌની સામે છે. અંદાજિત 2 મહિનામાં ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિનો 60 ટકા ભાગ ગુમાવી દીધો છે.