પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન સાથેની વાતચીતમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરમાં મધ્યસ્થતા અંગે જે ખુલ્લેઆમ જુઠ્ઠાણું ચલાવ્યું તેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની જેમ કાશ્મીર રાગ આલાપતાં જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા જણાવ્યું હતું.
ભારતે તેની તત્કાળ ઉગ્ર પ્રતિક્રિયા આપીને ડોનાલ્ડ ટ્રમ્પની બોલતી બંધ કરી દીધી હતી, જોકે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનમાં બહારથી દેખાય છે તેના કરતાં તેના ગર્ભિતાર્થ વધુ ગહન છે. કેટલાંક સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાનો રાગ આલાપીને એકસાથે અનેક નિશાન તાકવા માગતા હતા. દેખીતી રીતે એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ખુશ કરવા આવું કહ્યું હોય, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનના ગર્ભિતાર્થ અમેરિકી ચૂંટણી સાથે સંકળાયેલ છે. આગામી વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાવાની છે અને તેથી ડોનાલ્ડ ટ્રમ્પ કોઇ પણ ભોગે પોતાની વોટબેન્ક બચાવવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે.
મતદારોને આકર્ષવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે શાંતિની વાતો કરવા લાગ્યા છે અને તેઓ એવી કોશિશમાં છે કે સંઘર્ષવાળા પ્રદેશો ખાસ કરીને અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પરત બોલાવી શકે અથવા બોલાવતા હોય એવો ગંભીર પ્રયાસ કરી રહ્યા છે એવો દેખાવ કરી શકે, જોકે ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન કરીને અમેરિકન સરકારને જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી છે.
ભારતની ઉગ્ર પ્રતિક્રિયા જોઇને અમેરિકન વિદેશ મંત્રાલયને એવી સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. વગર વિચાર્યે બોલવાની જેમને આદત છે એવા ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર પર મધ્યસ્થતા કરવાની ઇચ્છા પ્રથમ વાર પ્રગટ કરી છે એવું નથી.
2016માં પણ તેઓ આવી ઇચ્છા પ્રગટ કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમનાથી વધુ પડતું બોલાઇ ગયું કે ભારતના વડા પ્રધાને તેમને કાશ્મીર પર મધ્યસ્થતા કરવા અનુરોધ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ આવાં બેબુનિયાદ નિવેદન કરવામાં માહેર છે. થોડા દિવસ પહેલાં જ તેમણે એવો હાસ્યાસ્પદ દાવો કર્યો હતો કે અમેરિકાના દબાણને લઇ પાકિસ્તાને 10 વર્ષથી છુપાયેલા મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદની ધરપકડ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વિચિત્ર નિવેદન પર ભારતમાં વિરોધ પક્ષોને તો ભાવતું હતું અને વૈદ્યે બતાવ્યું એવો ઘાટ સર્જાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ભારતમાં હલચલ મચી ગઇ. વિપક્ષોએ એવો આક્ષેપ કર્યો કે મોદીએ કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ સામે માથુું ટેકવી દીધું છે, પરંતુ ભારતની પ્રજા આ વાત માનવા બિલકુલ તૈયાર નથી.
નરેન્દ્ર મોદી જેવા વડા પ્રધાન કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ડોનાલ્ડ ટ્રમ્પને આગ્રહ અને અપીલ કરે એ વાત જ અકલ્પનીય છે. શિમલા સમજૂતી બાદ દેશની પ્રત્યેક સરકારની જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષોની પણ એક સંમત નીતિ રહી છે કે કાશ્મીર દ્વિપક્ષીય મામલો છે અને તેના પર અન્ય કોઇ દેશ કે ત્રાહિત પક્ષને ચંચુપાત કરવાનો કોઇ જ અધિકાર નથી.
જોકે એ વાત દુર્ભાગ્યપૂર્ણ છે કે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા બાદ હજુ પણ વિપક્ષો મોદી સામે શંકાની સોય તાકીને ખુલાસા માગી રહ્યા છે. ખરેખર વિદેશ નીતિની બાબતમાં રાજનીતિ બંધ કરવી જોઇએ. એમાંય કાશ્મીર જેવા મુદ્દે આ પ્રકારની છીછરી રાજનીતિને સ્થાન હોઇ શકે જ નહીં.