બોલિવૂડ અભિનેત્રી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર હવે નવેસરથી રાજકરણનું સફર શરૂ કરવા જઈ રહી છે. હવે તે શિવસેનામાં સામેલ થવાની છે. મળતી માહિતી મુજબ, તે આવતીકાલે એટલે કે સોમવારે શિવસેનામાં સામેલ થશે. ઘણાં સમયથી તે શિવસેનામાં સામેલ થવાની છે એવી ચર્ચાઓ ચાલી રહી હતી.
રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર હવે નવેસરથી રાજકરણનું સફર શરૂ કરવા જઈ રહી છે
ઉર્મિલા સોમવારે શિવસેનામાં સામેલ થશે
હકીકતમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર ઉર્મિલાને વિધાન પરિષદની સભ્ય બનાવવાની તૈયારીમાં હતી. સરકારે તેનું નામ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યું હતું. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડીની સરકારે રાજ્યપાલને 12 નામોની લિસ્ટ મોકલી હતી, જેમને રાજ્યપાલના ક્વોટા હેઠળ વિધાનસભા સમિતિમાં મોકલવાના છે.
તમને જણાવી દઈએ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું મહા વિકાસ અઘાડી ગઠબંધન છે. ત્રણેય પક્ષના ચાર-ચાર નેતાઓનાં નામ રાજ્યપાલને મોકલવામાં આવ્યા હતા. એનસીપીએ એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભિંગે અને આનંદ શિંદેના નામ મોકલ્યા છે, જ્યારે કોંગ્રેસે રજની પાટિલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસેન અને અનિરુધ્ધ વણકરના નામ મોકલ્યા છે. જ્યારે શિવસેનાએ ઉર્મિલા માતોંડકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નીતિન બાનગુડે પાટીલના નામ મોકલ્યા છે. તે પછી એવી અટકળો કરવામાં આવી રહી હતી કે ઉર્મિલા શિવસેનામાં સામેલ થઈ શકે છે.
કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી
ઉર્મિલાએ અગાઉ પણ રાજકીય ઈનિંગ રમી ચૂકી છે. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તે કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસે તેને મુંબઈ ઉત્તરથી ટિકિટ આપી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ હરાવી હતી.