ભારતમાં અશ્લિલતા ફેલાવવાના કડક કાયદા છે અને તેને માટે દોષી ઠરનારને જેલની સજા અને દંડ બન્ને થઈ શકે છે.
ભારતમાં અશ્લિલતા (ન્યૂડિટી) અંગેના કડક કાયદા
અશ્લીલતા ફેલાવવી સજાપાત્ર
પાંચ વર્ષની જેલ અને પાંચ હજાર રૂપિયાનો દંડ થઈ શકે
મીડિયામાં અશ્લિલતા ફેલાવી તો 7 વર્ષની જેલની સજા અને 10 લાખનો દંડ
ભારતમાં અશ્લિલતા (ન્યૂડિટી) અંગેના કડક કાયદા છે. આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ જાહેરમાં અશ્લિલતા ફેલાવી શકતો નથી અને જો તેમ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય છે. આવા કિસ્સામાં શું છે ભારતના કાયદા અને ઉલ્લંઘનના કિસ્સામાં કેટલી સજા અને દંડ થઈ શકે છે તે જાણવું જરુરી છે.
IPCની કલમ 292, 293 અને 294 હેઠળ અશ્લીલતા ફેલાવવી સજાપાત્ર
ભારતમાં અશ્લીલતા એ ગુનો છે. આઈપીસીની કલમ 292, 293 અને 294 હેઠળ અશ્લીલતા ફેલાવવી સજાને પાત્ર થઈ શકે છે. કયા કૃત્યને અશ્લીલ કહી શકાય તે અંગે કાયદામાં કોઈ અસ્પષ્ટતા નથી. કાયદાના જાણકારોનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ આવી અભદ્ર સામગ્રી, પુસ્તક કે અન્ય વાંધાજનક સામગ્રીનું વેચાણ કે સર્ક્યુલેટ કરશે જેનાથી બીજાને નૈતિક નુકસાન થાય છે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દોષિત ઠરે તો આરોપીને બે વર્ષની જેલની સજા અને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો બીજીવાર આવા જ કેસમાં દોષી સાબિત થશે તો તેને પાંચ વર્ષની જેલ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
મહિલાના શીલભંગ અથવા લજ્જા ભંગના કિસ્સામાં 3 વર્ષની કેદ અને દંડ
જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાના શીલભંગ અથવા તેની લજ્જાનું અપમાન કરે અથવા તો એવું કરે કે બોલે તો તેની સામે આઈપીસીની કલમ 509 હેઠળ
કાર્યવાહી થઈ શકે છે જેમાં 3 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે.
મીડિયામાં અશ્લિલતા ફેલાવી તો 7 વર્ષની જેલની સજા અને 10 લાખનો દંડ
જો કોઈ વ્યક્તિ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા જાતીય રીતે સ્પષ્ટ અથવા જાતીય રીતે સ્પષ્ટ સામગ્રી પ્રકાશિત કરે છે અથવા તેનું પ્રસારણ કરે છે, તો તેની સામે આઈટી એક્ટની 67 (એ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો આ કેસમાં દોષી સાબિત થાય તો 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. જો બીજીવાર દોષિત ઠરશે તો તેને 7 વર્ષની જેલની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.
ઉર્ફી જાવેદે જગાડી અશ્લિલતા પર ચર્ચા
બોલીવુડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઈન્ફલુઅન્સર ઉર્ફી જાવેદ પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ છે. તે સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા માટે વિચિત્ર અને ટૂંકા કપડાં પહેરીને લોકોનું ધ્યાન ખેંચવા માટે જાણીતી છે. તાજેતરમાં ભાજપના એક મહિલા નેતાએ ઉર્ફી સામે અશ્લિલતાનો કેસ કર્યો હતો. પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી પણ છે. ભારતીય કાયદામાં અશ્લીલતાનો અર્થ જાતીયતા એવો થતો જોવા મળે છે. જો કોઈ સામગ્રીમાંથી જાતીયતા ફેલાતી હોય, તો તેને અશ્લીલ કહી શકાય. સામાન્ય રીતે કોર્ટ દ્વારા અશ્લીલતાનું અર્થઘટન કરવામાં આવે છે. હવે આ મામલો કોર્ટમાં જશે તો કોર્ટ ઉર્ફી જાવેદની ફેશન સેન્સનું શું અર્થઘટન કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે. ઉર્ફી જાવેદ અશ્લીલ કપડાં પહેરે છે કે નહીં, તે કોર્ટ નક્કી કરશે.
ઉર્ફી જાવેદનાં કપડાં તો અતરંગી, પણ તેનો ઈરાદો અશ્લીલ નથી- સુપ્રીમ કોર્ટના વકીલ
સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિશાલ અરૂણ મિશ્રાએ કહ્યું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા ડ્રેસ પહેરવા ખૂબ જ સામાન્ય બાબત છે. અભિનેત્રીએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તે તેમના વ્યવસાયનો એક ભાગ છે. તેઓએ ભૂમિકાઓ અનુસાર વસ્ત્રો પહેરવા પડે છે. ઉર્ફી જાવેદનાં કપડાં તો અતરંગી છે પણ તેનો અશ્લીલ ઇરાદો નથી. કે અશ્લીલતાને પ્રોત્સાહન આપતા તેમના કોઈ પણ પ્રકારના નિવેદનો પણ નથી. જો આ કેસ નોંધવામાં આવે તો પણ કોર્ટ આ કેસને ફગાવી શકે છે. એડવોકેટ હર્ષિતા નિગમ પણ આવું જ કંઈક માને છે. તે કહે છે કે કોણ કયા કપડાં પહેરશે, તે ફક્ત તેનો જ અધિકાર છે. ઉર્ફી જાવેદ એક અભિનેત્રી છે અને તેનો હેતુ તેના ડ્રેસને એક્સપ્લોર કરવાનો છે. તે કોઈ જાહેર ગેરવર્તન કરી રહી નથી. આવી સ્થિતિમાં તેની સામે કેસ કરવાની વાત પણ વાહિયાત છે. એડવોકેટ પવન કુમારનું કહેવું છે કે સાર્વજનિક સ્થળો પર ખૂબ જ શોર્ટ ડ્રેસ ન પહેરવો જોઈએ. ઉર્ફી ખૂબ જ ટૂંકા કપડાં પહેરે છે. આની સમાજના કિશોર વય જૂથ પર ખરાબ અસર પડી શકે છે. ટૂંકા કપડાંમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ઉર્ફી જાવેદ જે રીતે પહેરે છે તે યોગ્ય ન કહી શકાય. પોલીસ તેમને ચેતવણી આપી શકે છે.