જાણીતા ઉર્દૂ લેખક, હાસ્ય અને વ્યંગકાર તથા પદ્મ એવોર્ડથી સન્માનિત મુજતબા હુસેન (Mujtaba Hussain) એ જાહેરાત કરી છે કે તેઓ તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરશે. તેમણે કહ્યું હતું કે દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે નાગરિકતા કાયદાને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૦૭માં મુજતબા હુસેનને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
જાણીતા ઉર્દૂ લેખક, હાસ્ય અને વ્યંગકારે એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી
મુજતબા હુસેને જાહેરાત કરી છે કે તેઓ તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરશે
વર્ષ ર૦૦૭માં મુજતબા હુસેનને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા
મુજતબા હુસેને કહ્યું કે દેશમાં અશાંતિ, ડર અને નફરતની જે આગ ભડકાવવામાં આવી રહી છે, તે ખરેખર વ્યથિત કરનારી છે. જે લોકશાહી માટે આપણે આટલાં દર્દ સહન કર્યાં અને તેને જે રીતે બરબાદ કરવામાં આવી રહી છે, તે નિંદનીય છે. આ સંજોગોમાં હું કોઈ સરકારી એવોર્ડ મારી પાસે રાખવા ઈચ્છતો નથી.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને એનઆરસી અંગે હુસેને કહ્યું કે હાલની સ્થિતિ જોતાં તેઓ ખૂબ જ ચિંતિત છે. તેમણે વધુમાં કહ્યું કે, હું ૮૭ વર્ષનો છું. હું આ દેશના ભવિષ્ય અંગે વધુ ચિંતિત છું. હું આ દેશની પ્રકૃતિ વિશે ચિંતિત છું, જે હું મારાં બાળકો અને આગામી પેઢી માટે છોડીને જવાનો છું.
નાગરિકતા સંશોધન કાયદાને લઈ શરૂ થયેલો હોબાળો અને હિંસક વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા નિરાધાર હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતનાં અનેક રાજ્યમાં હિંસક પ્રદર્શન બાદ તણાવ ઘણો વધી ગયો છે.