UPના બાહુબલી માફિયા અતીક અહેમદને સાબરમતી જેલની ‘200 ખોલી’માં ટ્રાન્સફર કરાયો છે. જ્યાં તેના પર 24 કલાક સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે. અતીક અહેમદને તડકો પણ નસીબ નહીં થાય તેવું જેલ સત્તાધીશો કહી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના બાહુબલી માફિયા અતીક અહેમદે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે ભોગવેલી તમામ વીવીઆઇપી ટ્રીટમેન્ટ પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે અને હાલ પાકા કામના કેદી તરીકે તેણે આતંકવાદીઓ સાથે રહેવાનો વારો આવ્યો છે. ઉમેશ પાલ અપહરણ કાંડમાં અતીક અહેમદને આજીવન કેદની સજા થતાં તેને સાબરમતી સેન્ટ્રલ જેલના અંડા સેલમાં રાખવામાં આવ્યો હતો. અતીક અહેમદ મામલે વિવાદ વધુ ને વધુ વકરતાં અંતે તેને 200 ખોલીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યાં વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરયલ બોમ્બ બ્લાસ્ટના આતંકવાદીઓ રહે છે.
પ્રયાગરાજની કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આંતકવાદીઓ જે ખોલીમાં રહે છે ત્યાં હવે અતીક અહેમદને રહેવાના દિવસો આવી ગયા છે. જેલનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અતીક અહેમદની બેરેક (ખોલી) બદલી દેવામાં આવી છે. અતીક અહેમદ જ્યારે ચાર વર્ષ પહેલાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો ત્યારે તેણે જેલમાં ખૂબ જલસા કર્યા હોવાનું સામે આવ્યું હતું. અતીક જેલમાં બેઠા બેઠા આઇફોનનો ઉપયોગ કરીને ઉત્તરપ્રદેશની ગેંગ પણ હેન્ડલ કરતો હતો. થોડા દિવસ પહેલાં અતીક અહેમદને યુપી પોલીસ પ્રયાગરાજ લઇ ગઇ હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે અતીકને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા ફટકાર્યા બાદ અતીક અહેમદને પરત સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલમાં આવતાંની સાથે જ તે કેદી નંબર 170 પર થઇ ગયો હતો.
હાઇલ સિક્યોરિટી ઝોનમાં કરાયો ટ્રાન્સફર
રૂપિયાના જોરે જેલમાં જલસા થશે તેવું વિચારનાર અતીક અહેમદનો ખેલ ઊંધો પડ્યો છે. અતીકે જેલમાં કરેલી તમામ ઐયાશીઓ પર ફુલસ્ટોપ વાગી ગયું છે. હવે અતીકને જોવા માટે પણ તેના સંબંધીઓ તરસી જશે તેવી સ્થિતિ જેલ સત્તાધીશોએ ઊભી કરી છે. અતીકની બેરેક બદલી દેવામાં આવી છે અને તેને જેલના સૌથી હાઇ સિક્યોરિટી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સંડોવાયેલા આતંકવાદીઓને જેલની 200 ખોલીમાં રાખવામાં આવ્યા છે ત્યાં અતીક અહેમદને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. 100 બેરેક (ખોલી)માં આતંકવાદીઓ છે, જ્યારે 50 બેરેકમાં એકલો અતીક અહેમદ છે.
અતીકને તડકો પણ નહીં થાય નસીબ
જેલનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીક અહેમદને લોકઅપની બહાર કાઢવામાં આવશે નહીં. લોકઅપની અંદર બાથરૂમની સુવિધા છે ત્યારે તેની બેરેક ફરતે સિક્યોરિટી ગાર્ડ ગોઠવી દેવામાં આવ્યા છે. આ સિવાય 24 કલાક સીસીટીવી કેમેરાથી તેના પર વોચ રાખવામાં આવશે. અતીક અહેમદને તડકો પણ નસીબ નહીં થાય તેવું જેલ સત્તાધીશો કહી રહ્યા છે. આ સિવાય અતીકને કોઇ મળવા આવશે તો પણ તેને મળવા દેવામાં આવશે નહીં.
200 ખોલી નામ કેમ પડ્યું?
200 ખોલીમાં ચાર યાર્ડ આવેલાં છે, જેમાં એક યાર્ડમાં 50 ખોલી એટલે કે બેરેક છે. ચાર યાર્ડમાં 200 બેરેક છે, જેના કારણે તેનું નામ 200 ખોલી પડ્યું છે. 100 બેરેકમાં આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે, જ્યારે 50 બેરેકમાં એકલા અતીક અહેમદને રાખવામાં આવ્યો છે. આ સિવાય બીજી 50 બેરેકમાં પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલને રાખવામાં આવ્યા છે. રમણ પટેલને બેરેકની બહાર કાઢવામાં આવે છે, પરંતુ અતીક અહેમદને બેરેકની બહાર કાઢવામાં આવશે નહીં.
એક જ બેરેકમાં અતીકનું જીવન પસાર થશે
જેલ સત્તાધીશોના જણાવ્યા અનુસાર અતીક અહેમદ પાસે જેલનું કોઇ કામ કરાવવામાં આવશે નહીં. ઉમેશ પાલ અપહરણકાંડમાં જ્યારે અતીકને સજા પડી ત્યારે કોર્ટે ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે અતીકને જેલમાં કામ આપવું. અતીક જેલમાં કામ કરે તો બીજા કેદીઓના સંપર્કમાં આવે અને તે જેલમાં બેઠો બેઠો તેની ગેંગ પણ ચલાવી શકે. અતીક જેલમાં બેઠો બેઠો પોતાનું નેટવર્ક ચલાવે નહીં તે માટે તેને 200 ખોલીમાં મૂકી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી કોર્ટ કોઇ નિર્ણય લે નહીં ત્યાં સુધી અતીક અહેમદને એક જ બેરેકમાં પોતાનું જીવન પસાર કરવું પડશે.