બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ અને વળાંક સામે આવી રહ્યા છે. આજે સુશાંતકેસમાં CBI તપાસની માંગ કરતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે ત્યારે બીજી તરફ પટના પોલીસ પણ આ કેસમાં એક્શનમાં આવી ગઈ છે. આટલું જ નહીં સુશાંત પાસેથી નાણા ખંખેરવાના આરોપો હોવાના કારણે હવે EDએ બિહાર પોલીસ પાસેથી માહિતીઓ માંગી છે.
બિહાર પોલીસ અંકિતા લોખંડે સહીતના લોકોની કરી શકે છે પૂછપરછ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે પરિવાર દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પટના પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એક તરફ મુંબઈ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને ઘણીવાર મુંબઈ પોલીસની તપાસ કર સવાલો ઉઠાવવામાં આવે છે એવામાં પટના પોલીસ પાસે સુશાંતના પરિવારે કેસ નોંધાવ્યો છે ત્યારે સુશાંત સિંહની બહેન મિતુ સિંહની પૂછપરછ કરવામાં આવી છે.
પટના પોલીસ સુશાંતના CA, નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસે સુશાંતના મનોચિકિત્સકોની એક યાદી પણ તૈયાર કરી લીધી છે. આ સિવાય અંકિતા લોખંડેની પણ પૂછપરછ કરી શકાય છે.
સર્વોચ્ચ અદાલતે ફગાવી અરજી
બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં મુંબઈ પોલીસથી કેસ લઈને સીબીઆઈને સોંપી દેવાની માંગ કરતી અરજીને ગુરુવારે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ મામલે મુંબઈ પોલીસને આ કેસમાં તપાસ કરવા દેવી જોઈએ.
રિયાએ પણ સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવ્યો
સુશાંત સિંહના પરિવાર દ્વારા પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારે રિયા પણ સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગઈ છે.રિયાના વકીલે બુધવારે જે અદાલતમાં અરજી કરી છે. રિયાએ અરજીમાં કહ્યું છે કે તપાસને બિહાર પોલીસથી મુંબઈ પોલીસ પાસે ટ્રાન્સફર કરી દેવો જોઈએ.
કેસમાં EDની એન્ટ્રી
બીજી તરફ સુશાંત સિંહ કેસમાં વધુ તપાસ કરવા અને મની લોન્ડરિંગ કેસની જરૂર છે કે નહીં તેની શોધ કરવા માટે EDએ કેસની માહિતીઓ બિહાર પોલીસ પાસેથી મંગાવી છે. નોંધનીય છે કે સુશાંત સિંહના પરિવાર દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં નાણાની લેતીદેતી મામલે પણ સુશાંત પાસેથી કરોડો રૂપિયા નાણા ખંખેરી લેવાનો આરોપ કર્યો છે. એવામાં આગામી સમયમાં ED પણ આ કેસમાં તપાસ શરુ કરે તો નવાઈ નહીં.