રાજસ્થાન બાદ હવે યૂપીના ગોંડામાં એક પૂજારી પર હુમલો કરાયો છે. ગોંડામાં રામ જાનકી મંદિરના પૂજારી સમ્રાટ દાસની શનિવારે રાતે ગોળી મારવામાં આવી હતી. ડોક્ટરોએ ઘાયલ સ્થિતિમાં તેમને લખનઉ રીફર કર્યા હતા. આ ઘટના ઈટિયાથોક વિસ્તારના તિર્રે મનોરમાની છે.
યૂપીના ગોંડામાં પૂજારી પર હુમલો
જમીન વિવાદ હોવાના કારણે કર્યો હુમલો
હુમલાખોરોએ પૂજારીને મારી ગોળી
માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ મંદિર પરિસરમાં ઘૂસીને પૂજારીને ગોળી મારી છે. મહંત સમ્રાટ દાસ પર જમીન વિવાદના કારણે આ હુમલો કરાયો છે. કહેવાઈ રહ્યું છે કે તેમની પર જમીન વિવાદને લઈને પહેલાં પણ હુમલા થયા છે. હુમલાખોરોએ જાનકી મંદિર મનોરમ ઉદ્ગમ સ્થળના પૂજારીને ગોળી મારી છે. મળતી માહિતી અનુસાર રામવિલાસ વેદાંતી મઠના સંરક્ષક છે. બદમાશોએ મંદિર પરિસરમાં ઘૂસીને મહંતને ગોળી મારી છે. સુરક્ષાના નામે હોમગાર્ડને તૈનાત કરાયા છે.
જમીન પર હતી ભૂમાફિયાની નજર
ગોળી વાગતાં મહંત સમ્રાટ દાસની સ્થિતિ નાજુક બની છે. કહેવાઈ રહ્યું છે કે મંદિરની જમીન પર ભૂમાફિયાઓની નજર હતી. પ્રધાન અમર સિંહ સહિત અનેક લોકો પર મહંતે હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલિસના ખાસ અધિકારી કેસની તપાસ કરી રહ્યા છે. પોલિસ હુમલાખોરની તપાસ કરી રહી છે.
રાજસ્થાનમાં પૂજારીને જીવતા સળગાવ્યા
ગોંડાની જેમ રાજસ્થાનના કરૌલીમાં જમીન વિવાદમાં પૂજારીને જીવતા સળગાવી દેવાયા હતા. તેમાં સાધુનું મોત થયું હતું. રાજસ્થાનના કરૌલી જિલ્લાના બુકના ગામમાં મંદિરના જમીન વિવાદમાં કેટલાક લોકોએ પૂજારીને જીવતા સળગાવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ પૂજારીને એક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા જ્યાં ગુરુવારે તેમનું મોત થયું હતુ.
બાગપતમાં નદીમાં મળી સાધુની લાશ
બાગપત શહેરના યમુના નદીમાં સાધુની લાશ મળવાથી શનિવારે ભયનો માહોલ ફેલાયો છે. સાધુના શરીર પર અનેક નિશાન હતા, અજ્ઞાત સાધુની ઓળખ થઈ શકી ન હતી. સ્થળ પર પહોંચેલી પોલીસ લાશની ઓળખના પ્રયાસ કરી રહી હતી પણ તેમાં સફળતા મળી નહીં. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસમાં લાગી ગઈ.