ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવનો પરિવાર હોળીના પર્વ નિમિત્તે સમજૂતી-સમાધાનની દિશામાં આગળ વધતો જોવા મળ્યો. શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ એક મંચ પર આવ્યા. અખિલેશે કાકાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પણ મેળવ્યા. એ પછીથી રાજકીય વર્તુળોમાં આ પરિવાર ફરી એક થઇ રહ્યો હોવાની સંભાવના દૃઢ બની, પરંતુ પરિવારના નિકટના જાણકારો કહે છે કે વાસ્તવિક એકતા થવામાં હજુ ઘણા પેચ બાકી છે.
મુલાયમસિંહ પરિવારમાં એકતા આસાન નથી
અપર્ણા યાદવ બાબતે પણ પરિવારમાં મતભેદ
અખિલેશ યાદવ કાકા શિવપાલ યાદવને તો પાછા લેવા તૈયાર છે, પરંતુ સમાજવાદી પક્ષ છોડીને તેમની સાથે ગયેલા બીજા ઘણા ચહેરા એવા છે કે જેમને અખિલેશ અને ડિમ્પલ પસંદ કરતાં નથી. શિવપાલ યાદવે સમાજવાદી પક્ષથી અલગ થઇ પોતાનો અલાયદો પક્ષ બનાવ્યો ત્યારે ખરા મુશ્કેલીના સમયે તેમની સાથે ઊભા રહેલા લોકોને હવે નિરાધાર છોડીને શિવપાલ સમાજવાદી પાર્ટીમાં જાય તો એ વિશ્વાસઘાત ગણાય.
એથી તેઓ એવું ઇચ્છે છે કે જ્યારે પણ સમાજવાદી પાર્ટીમાં તેમની વાપસી થાય ત્યારે એ બધા લોકોને પણ પક્ષમાં લેવામાં આવે એટલું જ નહીં તો ભવિષ્યમાં તેમના પ્રત્યે બદલાની ભાવનાથી જોવામાં ન આવે. મતલબ કે જે લોકો પહેલાંથી જ જ્યાંથી ચૂંટણી લડતા આવ્યા છે ત્યાંથી જ તેમને ચૂંટણી લડવાની તક આપવામાં આવે. કાકાની આ શરત અખિલેશને મંજૂર નથી.
અપર્ણા યાદવ બાબતે પણ પરિવારમાં મતભેદ
આ સિવાય પરિવારમાં અપર્ણા યાદવ બાબતે પણ મતભેદ છે. અપર્ણાની પક્ષમાં વાપસી અંગે અખિલેશ અને ડિમ્પલ સંમત નથી. અલબત્ત, મુલાયમસિંહ એવું ઇચ્છે છે કે તેમને પક્ષમાં પાછા લઇ લેવામાં આવે એટલું જ નહીં તો પક્ષમાં તેમને મહત્ત્વની ભૂમિકા કે જવાબદારી સોંપવામાં આવે. પરિવારના સુખદ હોળી મિલન પછી પણ આ બધા મુદ્દાનું નિરાકરણ સરળ તો નથી જ.