અતીક સાબરમતી સેન્ટ્રલ જેલની હાઇ સિક્યોરીટી બેરેકમાં બંધ હતો તો પછી જીશાનને તેણે ધમકી કેવી રીતે આપી. જો જીશાન સાચું બોલી રહ્યો છે તો અમદાવાદની જેલમાં અતીક અહેમદ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો.
અતીક અહેમદનાં કરતૂતોથી યુપી પોલીસ પરેશાન!
પાંચ કરોડની ખંડણી માગવાના કેસમાં અતીકના રિમાન્ડ મંજૂર
વર્ષ 2021માં અતીક અહેમદ જ્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો ત્યારે તેના વિરુદ્ધ યુપીમાં જીશાન નામના યુવકે ફરિયાદ દાખલ કરી હતી. જીશાને ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે અતીકના અહેમદના કહેવાથી તેના લમણા પર રિવોલ્વર મૂકીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ ઘટનામાં સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા ઉપર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. અતીક સાબરમતી સેન્ટ્રલ જેલની હાઇ સિક્યોરીટી બેરેકમાં બંધ હતો તો પછી જીશાનને તેણે ધમકી કેવી રીતે આપી. જો જીશાન સાચું બોલી રહ્યો છે તો અમદાવાદની જેલમાં અતીક અહેમદ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો. થોડા સમય પહેલાં અતીક અહેમદની બેરેક પાસેથી બિનવારસી મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.
અહેમદનાં કરતૂતોથી યુપી પોલીસ પરેશાન થઇ ગઇ?
ઉત્તરપ્રદેશના બાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદનાં કરતૂતોથી યુપી પોલીસ પરેશાન થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ઉમેશ પાલ અપહરણકાંડમાં અતીક અહેમદને આજીવન કેદની સજા પડ્યા બાદ હવે જીશાન નામના યુવક પાસે પાંચ કરોડની ખંડણી માગવાનો કેસ સામે આવ્યો છે. પાંચ કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં યુપી પોલીસ અતીક અહેમદની ગમે ત્યારે ધરપકડ કરીને ઉત્તરપ્રદેશ પૂછપરછ માટે લઇ જઇ શકે છે અથવા તો સાબરમતી જેલમાં જ તેની પૂછપરછ થઇ શકે છે. પાંચ કરોડ રૂપિયાની ખંડણીનો કેસ ખૂલતાંની સાથે જ હવે યુપી પોલીસના અમદાવાદમાં ધક્કા વધી ગયા છે ત્યારે આજે સવારે પીએસઆઇ રેન્કના એક અધિકારી, જે યુપીમાં ફરજ બજાવે છે તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોર્ટનો ઓર્ડર લઇને આવ્યા છે.
ઉમેશ પાલ અપહરણ કેસ
ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા મળ્યા બાદ હવે તેના પર વધુ એક કેસમાં કાયદાકીય સકંજો કસવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજ પોલીસને જીશાન ઉર્ફે જાનુ પર હુમલો અને જેસીબીથી તેનું મકાન તોડી નાખવાના કેસમાં અતીક અહેમદની પૂછપરછ કરવાના રિમાન્ડ મળી ગયા છે. જીશાન પર હુમલાના મામલે કોર્ટે આપેલા રિમાન્ડના આદેશની કોપી આજે સવારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં યુપી પોલીસનો પીએસઆઇ આપવા માટે આવ્યો હતો. આવનારા દિવસમાં અતીક અહેમદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂછપરછ થઇ શકે છે અથવા તો ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસ તેને યુપી લઇ જઇને પૂછપરછ કરશે.
31 ડિસેમ્બર, 2021ના રોજ અતીક અહેમદના પુત્ર અલી અહેમદે બે ડઝનથી વધુ હિથયારધારી સાગરીતોને લઇ પ્રોપર્ટી ડીલર જીશાનના ઘરે હુમલો કરી દીધો હતો. જીશાનના ઘરે જઇને અલીએ તેના ફોન પરથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ અતીક અહેમદ સાથે વાતચીત કરાવી હતી. અતીકે ફોન પર જીશાનને ધમકી આપતાં કહ્યું હતું કે જમીન મારી પત્ની શાઇસ્તા પરવીનના નામે કરી દે, નહીં તો મને પાંચ કરોડ રૂપિયાની ખંડણી આપી દે. જીશાને કોઇ જવાબ નહીં આપતાં અતીકે તેના પુત્રને કહ્યું હતું કે તેને એટલો મારો કે તે મરી જાય.
પોલીસે અતીક અહેમદની ગેંગનો સફાયો કરવાનું નક્કી કરી લીધું
અતીક અહેમદના પુત્ર અને સાગરીતોએ જીશાન અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો, જેથી તે ભાગીને સીધો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. જીશાન જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતો હતો ત્યારે અલીએ તેના ઘર પર બુલડોઝર ચલાવી દીધું હતું. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બે આરોપીઓની હથિયાર સાથે ધરપકડ પણ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જ્યારે થોડા સમય પહેલાં ઉમેશ પાલની હત્યા થતાં હવે યુપી પોલીસે અતીક અહેમદની ગેંગનો સફાયો કરવાનું નક્કી કરી લીધું છે. ઉમેશ પાલના અપહરણકાંડમાં અતીકને સજા પડ્યા બાદ હવે અતીક વિરુદ્ધ જીશાનનો કેસ શરૂ થઇ ગયો છે.