કેન્દ્ર સરકાર અને માઈક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. એક બાજુ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ટ્વિટર વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા છે તો બીજી બાજુ ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ પોલીસે તાજેતરમાં એક મુસ્લિમ વૃદ્ધ પર હુમલા અંગે વાયરલ થયેલા ભડકાઉ વીડિયો દ્વારા કોમી અશાંતિ ભડકાવવાના આરોપમાં ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર (એમડી) મનીષ માહેશ્વરીને નોટિસ ફટકારીને સાત દિવસની અંદર લોની પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઈને નિવેદન રેકોર્ડ કરાવવા ફરમાન જારી કર્યું છે.
ટ્વીટરનો ઉપયોગ કરીને સમાજમાં કોમી નફકત ભડકાવવાનો આરોપ
ગાઝિયાબાદ પોલીસે મનીષ માહેશ્વરીને સીઆરપીસીની કલમ-160 હેઠળ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે ટ્વિટર કોમ્યુનિકેશન ઈન્ડિયા અને ટ્વિટર ઈનકોર્પોરેશન દ્વારા કેટલાક લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને સમાજમાં કોમી નફરત ભડકાવવાની કોશિશ કરી છે, પરંતુ આ કોશિશને રોકવા માટે ટ્વિટર ઈન્ડિયાએ કોઈ કાર્યવાહી કરી નથી કે તેની નોંધ પણ લીધી નથી અને તેના કારણે સમાજ વિરોધી સંદેશ સતત વાઈરલ થઈ ગયો છે.
એક અઠવાડિયાની અંદર સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા ફરમાન
આ રીતે ટ્વિટર ઈન્ડિયાએ દેશ, પ્રદેશ, સમાજમાં કોમી નફરત ભડકાવનારાઓને પ્રોત્સાહિત કર્યા છે અને સમાજ વિરોધી બાબતને સતત વાયરલ થવા દીધી છે. પોલીસે આ અંગે સ્પષ્ટતા અને ખુલાસો કરવા માટે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ માહેશ્વરીને એક સપ્તાહની અંદર ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઈને તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવવા ફરમાન કર્યું છે.
નવ લોકો સામે ફરીયાદ દાખલ
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ઉત્તરપ્રદેશની ગાઝિયાબાદ પોલીસે લોની વિસ્તારની અબ્દુલ સમદ નામની એક વયોવૃદ્ધ વ્યક્તિ સાથે મારપીટ અને અભદ્રતા દાખવ્યાનો વીડિયો વાઈરલ થયા બાદ ટ્વિટર સહિત નવ લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી. આ તમામ વિરુદ્ધ ઘટનાને ખોટી રીતે કોમવાદી સ્વરૂપ આપવાના કારણસર આ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્વીટરે આ વીડિયોને મેનિપ્યુલેટ મીડિયાનો ટેગ આપ્યો ન હતો
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં મુસ્લિમ વૃદ્ધની મારપીટ અને તેમની દાઢી કાતરથી કાપવાની ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસના જણાવ્યા અનુસાર મામલાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પીડિત મુસ્લિમ વૃદ્ધે આરોપીને કેટલાંક તાવીજ આપ્યાં હતાં અને તેનું પરિણામ નહીં મળતાં નારાજ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ ટ્વિટરે આ વીડિયોને મેનિપ્યુલેટ મીડિયાનો ટેગ આપ્યો ન હતો.
પોતાની એફઆઈઆરમાં આ છે આરોપ
પોલીસે એવું પણ જણાવ્યું છે કે પીડિતે પોતાની એફઆઈઆરમાં જય શ્રીરામના નારા લગાવવા અંગે દાઢી કાપવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો નથી. જેમની સામે એફઆઈઆર દાખલ કરાઈ છે તેમાં અયુબ અને નકવી પત્રકાર છે, જ્યારે ઝુબેર ફેક્ટ ચેકિંગ વેબસાઈટ અલ્ટન્યૂઝના લેખક છે. ડો. શમા મોહંમદ અને નિઝામી કોંગ્રેસ નેતા છે, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ ઉસ્માનીને કોંગ્રેસે ગઈ સાલના ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.
એફઆઈઆરમાં જણાવાયું છે કે ગાઝિયાબાદ પોલીસ દ્વારા ખુલાસો કર્યા બાદ પણ આરોપીઓએ પોતાના ટ્વિટ્સ ડિલીટ કર્યાં ન હતાં. આ ઉપરાંત ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટર કોમ્યુનિકેશન ઈન્ડિયા પ્રા. લિ. દ્વારા પણ આ ટ્વિટ હટાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.