ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં કલેક્ટરેટ ઓફિસમાં મંગળવારે 100થી વધારે પત્રકારોએ વિરોધ પ્રદર્શન કર્યું. કેમકે સોમવારે રાજ્ય સરકારે એ પત્રકાર વિરુદ્ધ FIR નોંધી હતી, જેમણે એક સરકારી સ્કૂલમાં મિડ ડે મીલમાં મીઠા સાથે રોટલી ખાતા બાળકોનો વીડિયો શૂટ કર્યો હતો. પત્રકારોએ વિસ્તારના બ્લોક શિક્ષા અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદની નિંદા કરી છે.
થોડા સમય પહેલા પૂર્વી ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર જિલ્લામાં એક સરકારી સ્કૂલમાં શૂટ કરવામાં આવેલા વીડિયોમાં બાળકો કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત મિડ ડે મીલ તરીકે સ્કૂલના કોરિડોરમાં બેસીને મીઠા સાથે રોટલી ખાતા જોવા મળ્યા હતા.
આ વીડિયો 22 ઓગસ્ટે સ્થાનિય સમાચાર પત્રમાં કામ કરનાર પત્રકાર પવન જાયસવાલે શૂટ કર્યો હતો. ત્યારે પત્રકારોએ વિસ્તારના બ્લોક શિક્ષા અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદની નિંદા કરી. પત્રકાર પવન જાયસવાલ ઉપરાંત સ્થાનીય ગ્રામ પ્રધાનના પ્રતિનિધિ પર પણ રાજ્ય સરકારને બદનામ કરવાના ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. પત્રકારોનું કહેવું છે કે પવન જાયસવાલને તેમનું કામ કરવા માટે નિશાન બનાવાઇ રહ્યા છે.
'જનસંદેશ ટાઇમ્સ'ના જિલ્લા પ્રભારી સંજય દુબે કહ્યું, '' અમે એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ. કેમકે અમારા રિપોર્ટરે એ વાતની પોલ ખોલી છે કે કેવી રીતે બાળકોને મીઠુ અને રોટલી ખવડાવાઇ રહી છે. જે વીડિયો પત્રકારે શૂટ કર્યો હતો. તે વાઇરલ થઇ ગયો હતો. રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટ ખુદ ઘટનાસ્થળે ગયા અને કહ્યું કે આ સત્ય ઘટના છે. શું સત્ય બહાર લાવવું ખોટું છે ?
ઉત્તર પ્રદેશની મિડ ડે મીલ ઓથોરિટીની વેબસાઇટ પર સરકારી પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોને આપવામાં આવેલા ભોજનની વિસ્તૃત સૂચી આપવામાં આવી છે. જેમા દાળ, ભાત, રોટલી અને શાક હોવું જોઇએ. મીલ ચાર્ટ અનુસાર, કેટલાક વિશેષ દિવસો પર સ્કૂલોમાં ફળ અને દૂધ પણ વિતરીત કરવામાં આવવા જોઇએ.
એક વીડિયો દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં પત્રકાર જાયસવાલે પોતાના વિરુદ્ધ નોંધવામાં આવેલ કેસને 'પત્રકારત્વ પરનો હુમલો' બતાવ્યો હતો. પવન જાયસવાલનું કહ્યું, ''મારા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, કેમકે સરકારી અધિકારીઓને સવાલ પૂછ્યા હતા... આ પત્રકારત્વ પર હુમલો છે. આ સમાચારની સત્યતાની પુષ્ટી કરવા માટે તમામનું સ્વાગત છે.''
જ્યારે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ સોમવારે રાજ્ય સરકારની કાર્યવાહીની નિંદા કરી હતી. અને કેસ પાછો લેવા માટે આગ્રહ કર્યો હતો. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ આગ્રહ કર્યો હતો કે પત્રકારને કોઇ નુકશાન ન પહોંચાડવામાં આવે. તથા તેમને હેરાન ન કરવામાં આવે.