કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલનને વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારને આંશિક રાહત મળી છે. ઉત્તરપ્રદેશના ખેડૂતોએ નોએડાની બોર્ડરને ખાલી કરી દેવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોએ ખાલી કરી નોએડાની ચિલ્લા બોર્ડર
નોએડા અને દિલ્હી વચ્ચે અવરજવર શરુ
ખેડૂતોએ રાજનાથ સિંહ સાથે બેઠક બાદ કૃષિ આયોગ બનાવવા પર સહમતી વ્યક્ત કરી
આંદોલનમાં આંશિક રાહત
દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતોના આંદોલન વચ્ચે યુપીના ખેડૂતોએ પોતાનું આંદોલન હાલમાં સમેટી લીધું છે. યુપીના ખેડૂતો નોએડાના સેક્ટર14ની ચિલ્લા બોર્ડરથી હટી ગયા છે જે બાદ આ રસ્તા પર અવરજવર શરુ થઇ ગઈ છે. જનતાને થઇ રહેલ પરેશાનીને જોતા ખેડૂતોએ આ નિર્ણય કર્યો છે, સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ આયોગ બનાવવા માટે સહમતિ બની છે.
સુરક્ષાકર્મી પણ હટાવી દેવાયા
નોંધનીય છે કે આ મુદ્દે હવે આજે 12 વાગ્યે યુનિયન અને પદાધિકારીઓ વચ્ચે બેઠક થશે અને તે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ બોર્ડર પર તૈનાત RAF, RPFને હટાવી દેવામાં આવી છે તથા દિલ્હીના SHO તથા SP પણ આ બોર્ડરથી જતા રહ્યા છે. હવે 12 દિવસ બાદ આ બોર્ડર સંપૂર્ણપણે ખાલી છે.
રાજનાથ સિંહ સાથે કરી હતી બેઠક
નોંધનીય છે કે મોડી રાતે ખેડૂતોએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી અને તે બાદ બેઠક થઇ જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ બેઠકમાં સામેલ થયા. બંને પક્ષોમાં વાતચીત બાદ બોર્ડરને ખોલી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં 18 સૂત્રીય માંગ રાખવામાં આવી છે.
સવાર સુધીમાં રસ્તો ખાલી કરી દેવાયો
નોએડાને દિલ્હીથી જોડતા રસ્તાઓને ખોલી દેવામાં આવ્યા બાદ નોએડાના DCP રાજેશ એસએ મોડી રાતે કહ્યું કે ખેડૂતો આ સ્થળ ખાલી કરવા રાજી થઇ ગયા છે અને માર્ગ હવે ખુલી રહ્યો છે. કેટલાક પ્રદર્શનકારીઓ હજુ દેખાઈ રહ્યા છે પરંતુ હવે તે પણ ધીમે ધીમે બોર્ડર ખાલી કરી દેશે.
જોકે હજુ બીજા હજારો ખેડૂતોનું આંદોલન યથાવત્
નોંધનીય છે કે બીજી તરફ સિંઘુ બોર્ડર તથા ટીકરી બોર્ડર સહીત જે વિસ્તારોમાં જે ખેડૂતો બેઠા છે તે પોતાની માંગ પર અડગ છે અને આંદોલન વધારે ઉગ્ર બનાવવાના છે. ખેડૂતોએ આજે ટ્રેક્ટર માર્ચ કરવાની જાહેરાત કરી છે તથા ભૂખ હડતાળ કરીશું તેમ પણ ચીમકી ઉચ્ચારી છે, સરકારનું માનવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે અને લેખિતમાં ગેરંટી પણ આપી શકે છે.