ઉત્તર પ્રદેશ, એક એવું રાજ્ય જેના માટે કહેવાય છે કે દેશની સત્તા જોઈએ તો યુપી તો જીતવું જ પડે. જેમા મોદી પછી ભાજપના બીજા નંબર સૌથી મોટા નેતાની કિસ્મત હવે દાવ પર છે ત્યારે જૉ યોગી આદિત્યનાથ જીતી જાય તો ઈતિહાસ રચાઇ જશે.
ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં મુખ્યમંત્રીની ખુરશી હંમેશા ડામાડોળ રહી
વારે ઘડીએ પડી ગઈ સરકારો, અનેક વાર બદલાયા મુખ્યમંત્રી
ભાજપ માટે યોગી પહેલા એવા મુખ્યમંત્રી જે પાંચ વર્ષ પૂરા કરશે
હિન્દુ હૃદય સમ્રાટ તરીકે પ્રખ્યાત કલ્યાણ સિંઘ પણ સત્તા ટકાવી નહોતા શક્યા
હાલમાં જ એક મીડિયાનાં કાર્યક્રમમાં યુપી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે તે યુપીમાં રાજકારણનો રેકોર્ડ તોડવા માટે જ આવ્યા છે અને હું તો પાછો આવીશ જ. જે ક્યારેય નથી થયું તે હવે થશે. જોકે અખિલેશ યાદવને યુપીના આ રેકોર્ડ પર વિશ્વાસ છે અને કહી રહ્યા છે કે યોગી જઈ રહ્યા છે.
યુપીમાં સતત બીજી વાર કોઈ મુખ્યમંત્રી ચૂંટાયું નથી
ઉત્તર પ્રદેશમાં સત્તાનો ઈતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે, રાજકારણમાં એક બીજાની ખુરશી ખેંચવામાં અહિયાના રાજકારણીઓએ પ્રજાનું હિત બાજુમાં મૂકીને સરકારો અસ્થિર કરવામાં વધારે રસ બતાવ્યો છે. યુપીનાં ઈતિહાસમાં અડધી સરકારો અડધામાંથી જ પડી ભાંગી, અનેકવાર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની નોબત આવી. યુપીમાં એક પાર્ટી ફરીથી બીજી વાર ચૂંટાઈને આવી હોય તેવું બન્યું છે પણ તેમાં પણ મુખ્યમંત્રી તો બદલાઈ જ ગયા હતા. ઉત્તર પ્રદેશનો ઈતિહાસ 1950થી જોવામાં આવે તો ત્યારથી જ આજ સુધી કોઈ મુખ્યમંત્રી સતત બીજી વાર સીએમ બન્યો નથી.
2020માં યોગીએ બનાવ્યો પહેલો રેકોર્ડ
19 માર્ચ 2020નાં રોજ યોગી આદિત્યનાથે એવો રેકોર્ડ બનાવ્યો જે આજ સુધી કોઈ ભાજપ મુખ્યમંત્રી કરી ન શક્યું. પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ મુખ્યમંત્રીએ પોતાના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા.
યુપી મુખ્યમંત્રી અને ભાજપ હાઇકમાંડ વચ્ચે ઘર્ષણનો ઈતિહાસ
નોંધનીય છે કે લાંબા સમય બાદ એવું બન્યું છે કે દેશ અને યુપી બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. આ પહેલા જ્યારે કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ હાઇકમાંડ સાથે હંમેશા સંબંધો ખરાબ રહેતા. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે કલ્યાણ સિંઘનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. જોકે યોગી આદિત્યનાથને તો મોદી અને શાહે જ યુપીમાં મોકલ્યા છે એવામાં યોગી સાથે સમન્વયને લઈને હાલ ભાજપમાં કોઈ વિવાદ નથી અને જો હવે ફરીથી ભાજપ જીતે તો યોગી જ મુખ્યમંત્રી બનશે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
યુપીના ઈતિહાસમાં બે હિન્દુ હૃદય સમ્રાટ, કલ્યાણ સિંઘ અને યોગી આદિત્યનાથ
રામ મંદિર નિર્માણ આંદોલન જ ભાજપ માટે સત્તાનું કામ કરતું રહ્યું છે. 1990નાં દાયકામાં કલ્યાણ સિંઘ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રહ્યા અને આખા રાજ્યમાં હિન્દુ હૃદય સમ્રાટ તરીકે ઓળખાતા હતા. વર્ષ 1992માં રામ મંદિર નિર્માણ આંદોલનમાં વિવાદિત ઢાંચાને પાડી દેવામાં આવી અને આ જ દિવસે કલ્યાણ સિંઘે રાજીનામું આપી દેવું પડ્યું હતું. તે સમયે ભારતના રાજકારણમાં બે જ નામ કેન્દ્રમાં હતા: અટલ બિહારી વાજપેયી અને કલ્યાણ સિંઘ. જોકે કલ્યાણ સિંઘ પણ ક્યારેય પોતાની ટર્મ પૂરી કરી ન શક્યા.
શરૂઆતી વર્ષ જ ખરાબ રહ્યા, વારંવાર બદલાતા રહ્યા સીએમ
1950માં યુપીને ગોવિંદ વલ્લભ પંત સ્વરૂપે પહેલા સીએમ મળ્યા હતા, 1950થી 1967 સુધી 17 વર્ષ કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી પરંતુ દર વખતે મુખ્યમંત્રી તો બદલાતા જ રહ્યા. 1954 બાદ 1960 સુધી સંપૂર્ણાનંદ સીએમ હતા.
માયાવતી અને મુલાયમ વારંવાર સીએમ બન્યા, કોઈ સતત બીજી વાર જીતી ન શક્યા
વર્ષ 1989માં જનતા દળમાંથી મુલાયમ સિંઘ પહેલીવાર સીએમ બન્યા પણ એક જ વર્ષ સત્તા પર રહ્યા, બાદમાં સમાજવાદી પાર્ટી બનાવી અને 1993માં દોઢ વર્ષના મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2003માં તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા પણ 2007 જીતી ન શક્યા.
બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પણ ક્યારેય સતત બીજી વાર સત્તા પર આવી શક્યા નથી. 1995માં પહેલી વાર તેઓએ રાજ્યની કમાન સંભાળી પણ ખુરશી માત્ર 137 દિવસ રહી અને સરકાર પડી ગઈ. 1997માં ફરી મુખ્યમંત્રી બન્યા અને આ વખતે છ મહિના સીએમ રહ્યા. 2002માં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા પણ સત્તા ફરીથી 2003માં જતી રહી હતી. જોકે 2007થી 2012 સુધી તેમણે આખી ટર્મ પૂરી પણ 2012માં મુલાયમ સિંઘના દીકરા અખિલેશ યાદવે સત્તા સંભાળી અને માયાવતી હારી ગયા.
પીએમ મોદીની દેશમાં છવિ રહી છે, આજ સુધીના બધા પ્રધાનમંત્રીઓ અને રાજેનતાઓથી કઈક અલગ કરવું. નવા નવા રેકોર્ડ સ્થાપવા, જોકે હવે યોગી આદિત્યનાથ પણ આવો ઈતિહાસ રચી શકે છે કે કેમ તે યુપીની જનતાના હાથમાં છે. પણ જો યોગી આદિત્યનાથ પોતાની લોકપ્રિયતાના જોરે ફરી મુખ્યમંત્રી બની જાય તો યુપી અને દેશમાં યોગીનું કદ વધશે જ તે નક્કી છે.