પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો દેશની આગામી રાજનીતિ નક્કી કરશે, આ પરિણામથી એ સ્પષ્ટ થઈ જશે કે, દેશમાં હવે પછી ક્યા પ્રકારની રાજનીતિ અને પાર્ટીની લહેર ચાલી રહી છે.
પાંચ રાજ્યોની ચૂંટણીના આજે પરિણામ
યુપીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની
ભારતીય રાજનીતિમાં પડશે મોટી અસર
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે એટલે કે 10 માર્ચે જાહેર થઈ રહ્યો છે. અત્યાર સુધીના પરિણામો જોતા ચિત્ર સ્પષ્ટ તો થઈ ગયું છે કે, ક્યાં કોની સરકાર બનવા જઈ રહી છે. જો કે, આ તમામની વચ્ચે સૌ કોઈની નજર યુપી અને પંજાબ પર સૌથી વધારે રહી છે. જ્યાં પંજાબમાં આપની સરકાર તો યુપીમાં યોગી આદિત્યનાથની ફરી વાર સત્તા પર આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે આ ચૂંટણી પરિણામની આગામી સમયમાં કેવી અસર થશે, યુપી ઈલેક્શનની આવનારી ચૂંટણીમાં યોગીનું અને ભાજપનું મહત્વ કેટલુ વધી જશે, પીએમ મોદીની આગેવાનીમાં દેશમાં આગળ ક્યા પ્રકારની રાજનીતિ આકાર લેશે, તેને લઈને પણ અત્યારથી ક્યાસ લગાવાના શરૂ થઈ ગયા છે. તો આવો જાણીએ આ પરિણામો કેટલા મહત્વના છે.
દેશનું સૌથી મોટું રાજ્ય ભાજપના ગઢ તરીકે અકબંધ રહ્યું
દેશના સૌથી મોટા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર ઈતિહાસ સર્જવા જઈ રહ્યા છે. પાર્ટીએ સતત બીજી વાર યુપીમાં પરચમ લહેરાવ્યો છે. દેશના સૌથી મોટા રાજ્ય ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. અહીં એકેયે પાર્ટી ભાજપની ટક્કરમાં આવી શકી નથી, સપા થોડી ઘણી હરીફાઈ કરી છે, પણ તે જોઈએ તેટલી મજબૂત સ્થિતિમાં નથી, જ્યારે બસપા અને કોંગ્રેસનું તો ટાઈ ટાઈ ફિસ્સ થઈ ગયું છે. યુપીમાં સત્તાધારી ભાજપ 2017 બાદ ફરી એક વાર જીતીને ઈતિહાસ રચવામાં સફળ રહી છે. 1985 બાદ રાજ્યમાં આવી કોઈ પાર્ટી ફરી વાર સત્તામાં આવવામાં નિષ્ફળ રહી હતી, જે પહેલાથી સત્તામાં હોય. ત્યારે આવા સમયે ભાજપે જીતનો નવો ઈતિહાસ રચ્યો છે. 1991માં બહુમત મેળવ્યાના 26 વર્ષ બાદ ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં સતત બીજા કાર્યકાળ માટે સત્તામાં વાપસી કરી રહી છે અને 2022ની જીત 2017ની વિધાનસભા ચૂંટણી કરતા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપનો કોઈ વિકલ્પ નથી
યુપીમાં સત્તામાં ફરી વાર વાપસી કરવા માટે કેટલાય મહિનાઓથી રાજકીય જંગનું પરિણામ હવે આપની સામે આવી ગયું છે. સપાની લાખ કોશિશ છતાં પણ યુપીમાં ભાજપ પરચમ લહેરાવામાં સફળ રહ્યું છે. આ પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે, યુપીમાં ભાજપનો અન્ય કોઈ વિકલ્પ તો હાલ દૂર દૂર સુધી દેખાતો નથી. સીએમ યોગી અને પીએમ મોદીની જોડી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. એટલે તો, ડબલ એન્જીનની સરકાર પર લોકોએ ફરી એક વાર વિશ્વાસ મુક્યો છે. બસપા અને કોંગ્રેસે દૂર દૂર સુધી નજરે પડતી નથી. ત્યારે ભાજપ માટે આ જીત સૌથી સારા સમાચાર ગણી શકાય છે.
યુપીની આ જીતનો ઘણો બધો ફાળો પીએમ મોદીની લોકપ્રિયતાને આપી શકાય છે. કેમ કે યુપીને જીતવા માટે પીએમ મોદી સહિત ભાજપના કેટલાય દિગ્ગજ નેતાઓ અસંખ્ય રેલીઓ અને જાહેરસભાઓ કરી હતી. હિન્દી બેલ્ટમાં વાત કરીએ તો, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્ય પ્રદેશ કે પછી ઉત્તરાખંડ આ તમામ રાજ્યોમાં ભાજપ શાસિત સરકારો સત્તા ભોગવી રહી છે. જેનું એકમાત્ર કારણ પીએમ મોદી છે, પીએમ મોદીની લોકપ્રિયતા થકી આ રાજ્યોમાં ભાજપ સત્તાનું સુકાન સંભાળી રહ્યું છે. પીએમ મોદીની આ રાજ્યોમાં સારી એવી પકડ છે, જ્યાં તેમની ટક્કરમાં અન્ય કોઈ દેખાતું નથી.
યોગી આદિત્યનાથના રાજકીય કદમાં વધારો
જે રીતના યુપી ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, તે જોતા યોગી આદિત્યનાથના કદમાં ચોક્કસપણે વધારો થશે. યોગી આદિત્યનાથ ભાજપના સંસદીય બોર્ડના મેમ્બર બની શકે છે. હોળીની આસપાસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય બોર્ડમાં ફેરબદલ કરશે, જેમાં યોગી આદિત્યનાથને બોર્ડમાં સામેલ કરી શકે છે. પાર્ટીમાં યોગી આદિત્યનાથનું કદ સતત વધતું જાય છે. તેની જાહેરાત 18-20 માર્ચની આસપાસ થઈ શકે છે.
આવનારા સમયમાં યોગી આદિત્યનાથનો પક્ષમાં દબદબો વધશે
સતત બીજી વખત યુપીમાં સત્તા પર આવનારા યોગી આદિત્યનાથનો પક્ષમાં દબદબો વધી જશે, તેમાં ચોક્કસપણે કોઈ શંકાને સ્થાન નથી. પાર્ટી હાઈકમાન્ડ આ અંગેનો નિર્ણય પણ લઈ શકે છે. ભાજપ હાઈકમાન્ડ યોગીને પાર્ટીમાં કોઈ મોટુ પદ આપી શકે છે. જેના કારણે યોગી રાષ્ટ્રીય ફલક પર મોટા નેતા બની શકે છે. પાર્ટીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ પછી કદાચ યોગીનું નામ આવે તો પણ નવાઈ નહીં.
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ માટે હજુ સંઘર્ષનો સમય
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની જો કોઈ સાથે ટક્કર હતી, તો છે સમાજવાદી પાર્ટી સામે, પણ સમાજવાદી પાર્ટી પોતાની ખરડાયેલી છબી સુધારવામાં સમગ્રપણે નિષ્ફળ રહી છે. 2014માં જ્યારે અખિલેશ સરકાર પડી તો, રાજકીય નિષ્ણાંતોનું માનવું હતું કે, કાયદો વ્યવસ્થા અને ગુંડાગીરીને પ્રોત્સાહન મળ્યું તે અખિલેશ માટે શ્રાપ બની ગયો. આ વાતનો મોકો ભાજપ ઉઠાવી લીધો.સત્તામાં આવ્યા બાદ યોગીએ જરાં પણ ઢીલાસ ન મુકી. ભણેલા ગણેલા વર્ગમાં પણ સપાને જાકારો મળ્યો. ફક્ત યાદવ વોટ સાથે ઉતરેલી સપા માટે કપરાં ચડાણ તો પહેલાથી જ હતા, પણ હવે તો પાક્કુ થઈ ગયું છે કે તે સરકાર નહીં બનાવે. ભાજપે વિકાસને આગળ ધર્યો અને સપા તથા બસપાને ફેલ કરી નાખ્યા છે. તેથી અખિલેશે ચોક્કસપણે વધારે મહેનત કરવી પડશે.
પ્રિયંકા ગાંધીની આગેવાની પણ કોંગ્રેસ મજબૂત ન થઈ શકી
એક પછી એક રાજ્યોમાં પતનના આરે આવીને ઉભેલી કોંગ્રેસ પાર્ટીમાં એવું લાગતું હતું કે, પ્રિયંકા ગાંધીએ કમાન સંભાળ્યા બાદ પાર્ટીમાં નવો પ્રાણ પુરાશે, જો કે, પ્રિયંકા ગાંધીની પણ કોઈ અસર થઈ નહીં, યોગીની સામે પ્રિયંકા ગાંધીએ રેલીઓ વધારે કરી પણ તેનું પરિણામ કંઈ આવ્યું નહીં. યોગી અને મોદીની લહેરમાં પ્રિયંકા ગાંધીની આંધી કામમાં ન આવી. કોંગ્રેસ સતત હારનો સામનો કરી રહી છે, અને ફરી એક વાર યુપીમાં મોટો ઝટકો લાગ્યો છે. દૂર દૂર સુધી પાર્ટી ભાજપની સરખામણીમાં ક્યાંય દેખાતી નથી.
2024માં આવનારી લોકસભા ચૂંટણી મામલે ભાજપ માટે સકારાત્મક સંદેશ
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું ફાઈન્સ રિઝલ્ટ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જસે, પણ અત્યાર સુધીના પરિણામો જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે, દેશમાં ભાજપની લહેર ચાલી રહી છે. બધું જ બરાબર રહ્યું તો, ઉત્તર પ્રદેશની સાથે ઉત્તારાખંડ, ગોવા અને મણિપુરમાં પણ ભાજપની સરકાર બનશે. આ પરિણામ ભાજપ માટે જ નહીં, પણ પીએમ મોદી માટે મહત્વના છે. ખાસ કરીને યુપીના પરિણામની દેશની રાજનીતિ પર અસર પડે છે. જાણકારોનું કહેવુ છે કે, આ જીત સાથે ભાજપ અને મોદીનો રસ્તો 2024માં ખૂબ જ સરળ બની જશે. આ જીત સાથે ભાજપ પુરા આત્મવિશ્વાસ સાથે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે. મોદીને ખબર છે કે, તેમની યોજનાનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચી રહ્યો છે અને લોકો તેનાથી ખુશ છે.
લોકસભાની ચૂંટણી માટે SP, કોંગ્રેસને વધુ મહેનત કરવી પડશે
આજે સાંજ સુધીના પરિણામો આવતા જો આ પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર બને છે તો, દેશમાં કુલ 12 રાજ્યોમાં ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ રાજ કરશે. તો વળી ચાર રાજ્યોમાં ભાજપ ગઠબંધનમાં સરકાર ચલાવી રહી છે. આ રાજ્યોની વાત કરીએ તો, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને જો આ ચાર રાજ્યો યુપી,ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જીતે તો, 12 રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યો બની જશે. આ બાજૂ કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસ માટે ખાલી બે રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં જ સરકાર રહેશે, કોંગ્રેસ વધુ એક રાજ્ય પંજાબ ખોઈ રહ્યું છે. જો કે, કોંગ્રેસ મહારાષ્ટ્ર, ઝારખંડ અને તમિલનાડૂમાં ગઠબંધનમાં સાથ આપી રહી છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતીની રાજકીય ઉપસ્થિતિ ગૌણ બની
ઉત્તર પ્રદેશમાં આ ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે, યુપીમાં હાલ તો યોગીનો અન્ય કોઈ વિકલ્પ દેખાતો નથી, લોકોને ડબલ એન્જીનની સરકાર પસંદ આવી રહી છે. જ્યાં સપા અને બસપા બંને પાછળ રહી ગયા છે. જો કે આ ચૂંટણી બાદ એવો પણ એક ક્યાસ લગાવામાં આવી રહ્યો છે, બસપાનું અસ્તિત્વ આ ચૂંટણી પરિણામો ગૌણ બની જશે, આમ પણ માયાવતી આ ચૂંટણીમાં ક્યાંય ચિત્રમાં હતા જ નહીં, છેલ્લે તેમણે અચાનક બહાર આવીને ચૂંટણી રેલીઓ સંબોધન કરવા નિકળ્યા હતા. જો કે, આ પરિણામ માયાવતીના અસ્તિત્વને લઈને બહુ મોટો સવાલ ઉભા કરી દેશે.
જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAને સરળતા રહેશે
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ એ નક્કી કરશે, કે આ રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી બનશે, તેની સીધી અસર રાષ્ટ્રપતિની ચૂંટણી પર પડશે.હકીકતમાં જોઈએ તો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જૂલાઈએ ખતમ થઈ રહ્યો છે. ત્યારે 10 માર્ચે આવેલા પરિણામ એ નક્કી કરશે કે, 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કઈ પાર્ટી અથવા ગઠબંધનની નિર્ણાયક ભૂમિકા રહેશે.