આવતી કાલે તારીખ 10 માર્ચના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવવા જઇ રહ્યું છે. ત્યારે UP વિધાનસભાની ચૂંટણીમાં કેટલાંક એવાં દાવેદારો છે કે જેઓને હાર-જીતથી કોઈ જ ફરક નહીં પડે.
યુપી ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ સૌ કોઇની નજર પરિણામ પર
આવતી કાલે 10 માર્ચે વિધાનસભા ચૂંટણીનું પરિણામ
UPના કેટલાંક નેતાઓને હાર-જીતથી કોઇ જ ફર્ક નથી પડતો
આ દિગ્ગજ નેતાઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઘણા નેતાઓના નામ પણ સામેલ છે. જો આ નેતા યુપી વિધાનસભાની ચૂંટણી હારી જાય તો પણ તેઓ સન્માનીય જ રહેશે. કારણ કે તેમાંથી એક MLC છે તો કોઈ સાંસદ છે. આવી સ્થિતિમાં, તેમને હારથી કોઈ જ ફર્ક નથી પડતો પરંતુ જીત થવા પર નક્કી કરશે કે કયુ પદ વધારે માન્ય રાખે છે.
સૌ પહેલાં વાત કરીએ તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર સદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથે 2017માં વિધાનસભા ચૂંટણી લડી ન હતી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે સપ્ટેમ્બર 2017 માં MLC ની ચૂંટણી લડી અને બિનહરીફ જીત મેળવી હતી. તમને જણાવી દઇએ કે, MLC નો કાર્યકાળ 6 વર્ષનો હોય છે આથી તેમની પાસે માનનીય તરીકે હજુ એક વર્ષ બાકી છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો સીએમ યોગી ગોરખપુર સદર સીટથી જીતી રહ્યાં હોવાનું કહેવાઇ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ 2017 ની વિધાનસભા ચૂંટણી લડી ન હતી. ત્યારે ડેપ્યુટી સીએમ બન્યા બાદ તેમણે MLC ની ચૂંટણી લડી અને તેઓ જીતી ગયા. હાલમાં તેઓ કૌશામ્બી જિલ્લાની સિરાથુ સીટ પરથી લડી રહ્યાં છે. જ્યાં તેઓની જીત અંગે પણ સકારાત્મક સંકેતો મળી રહ્યાં છે.
અખિલેશ યાદવ અને SP સિંહ બઘેલ વચ્ચે કાંટે કી ટક્કર
ભાજપના વરિષ્ઠ નેતા SP સિંહ બઘેલ મેનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી અખિલેશ યાદવ સામે ચૂંટણી લડી રહ્યાં છે. જો કે, નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય કાયદા રાજ્યમંત્રી અને આગ્રાના સાંસદ એસપી સિંહ બઘેલને અહીંયા જીત કે હારથી બહુ ફરક નહીં પડે.
તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. અખિલેશે મૈનપુરીની કરહાલ સીટ પરથી દાવેદારી રજૂ કરી છે. હાલમાં, અખિલેશ યાદવ આઝમગઢ (અખિલેશ યાદવ આઝમગઢ સાંસદ) ના સાંસદ છે. તેમનું સન્માનનીય પદ પણ અકબંધ રહેશે. એક્ઝિટ પોલમાં અખિલેશ યાદવની પણ જીત પાક્કી માનવામાં આવી રહી છે.
જેલમાં રહીને પણ આઝમ ખાન માનનીય રહેશે
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આઝમ ખાનનું નામ માત્ર સપામાં જ નહીં પરંતુ ભાજપના નેતાઓના હોઠ પર પણ ખૂબ રહ્યું છે. આઝમ ખાન હાલ જેલમાં બંધ છે. આઝમ ખાને જેલમાંથી જ રામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી છે. આઝમ ખાન રામપુરથી જ સાંસદ પણ છે. જો તેઓ યુપી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની સીટ હારી જશે તો તેમને પણ તેનાથી કોઈ જ ફરક નહીં પડે.