UP ચૂંટણીમાં ભૂંડી હાર વેઠ્યા બાદ રાહુલ ગાંધીએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે માયાવતીની બસપા પાર્ટી પર મોટા પ્રહારો કર્યા છે.
ચૂંટણી પુરી થયા બાદ રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો
માયાવતીને આપી હતી મોટી ઓફર
માયાવતીએ કોંગ્રેસને જવાબ પણ ન આપ્યો
UP ચૂંટણીમાં ભૂંડી હાર વેઠ્યા બાદ રાહુલ ગાંધીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ચૂંટણી પહેલા કોંગ્રેસ, બસપા સાથે ગઠબંધન કરવા માગતી હતી, માયાવતીને સીએમ પદની ઓફર પણ આપવામા આવી હતી, પણ તેમને કોઈ જવાબ જ ન આપ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, માયાવતીએ આ વખતે ચૂંટણી લડી જ નહીં. અમારી તરફથી ગઠબંધનનો પ્રસ્તાવ પણ આપવામા આવ્યો હતો. અમે તો એવું પણ કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી બની શકે છે. પણ તેમણે અમારા પ્રસ્તાવ પર કોઈ જવાબ આપ્યો નહીં. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર માયાવતી ઈડી, સીબીઆઈથી ડરેલા છે અને હવે લડવા નથી માગતા.
રાહુલ ગાંધીના માયાવતીને લઈને ખુલાસા
તેના વિશે વાત કરતા રાહુલે જણાવ્યું હતું કે, અમે કાંશીકામનું ખૂબ જ સન્માન કરીએ છીએ, તેમણે દલિતોને સશક્ત કર્યા હતા. કોંગ્રેસ નબળી થઈ છે, પણ આ મુદ્દો નથી, દલિતોનું સશક્ત હોવું જરૂરી છે. પણ માયાવતી કહે છે કે, તે નહીં લડે. રસ્તો એકદમ ખુલ્લો છે. પણ સીબીઆઈ, ઈડી, પેગાસસના કારણે તેઓ લડી નથી શકતા. રાહુલ ગાંધીનું ચૂંટણી બાદ આવેલું આ નિવેદન ખૂબ જ મહત્વ ધરાવે છે. સવાલ તો એવો પણ છે કે, જો ચૂંટણી પહેલા ગઠબંધન થયું હોત તો, શું જમીન પર સ્થિતિ બદલાઈ હોત ખરી, શું બંને પાર્ટીઓનું પ્રદર્શન વધારે સારૂ રહેત ?
જોવા જઈએ તો, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ અને બસપા એકલા હાથે ચૂંઠણી લડી હતી. બંને પાર્ટીઓના આ ચૂંટણીમાં સૂપડા સાફ થઈ ગયા છે. એક બાજૂ કોંગ્રેસ બે સીટ જીતી શકી છે, તો માયાવતીની બસપાનું તો સૌથી ખરાબ પ્રદર્શન કરતા ફક્ત એક સીટ આવી હતી. ચૂંટણી પરિણામો બાદ બસપા સુપ્રીમોએ જરૂરથી મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો, એવું પણ કહ્યું કે, તેમના વોટ એકતરફી સપાને જતાં રહ્યા. જો કે, ત્યારે માયાવતીએ આ પ્રસ્તાવ વિશે કોઈ વાત કરી નહોતી. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દાને ઉઠાવીને રાજકીય બજારોમાં ભારે ચર્ચા જગાવી છે.
ક્યાં ચૂકી ગઈ બસપા
યુપી ચૂંટણીમાં બસપાના ખરાબ પ્રદર્શનની વાત કરીએ તો, આ વખતે પાર્ટીને 10 ટકાથી પણ ઓછા વોટ મળ્યા હતા. બસપાના વોટ શેર ફક્ત 12 ટકા રહ્યો હતો, જે 2017માં 22 ટકા હતો. આ ઉપરાંત માયાવતીના કોર વોટર જાટવ પણ આ વખતે ભાજપ સાથે જતાં રહ્યા. ત્યારે આવા સમયે ન તો મુસ્લિમ વોટ મળ્યા, ન બ્રાહ્મણ સાથે આવ્યા અને ન તો જાટવ સમુદાયનું સમર્થન મળ્યું.