10 માર્ચે યુપી સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, યુપીમાં તો ભાજપની ફરી વાર સત્તામાં વાપસી થઈ છે, જો આ ચૂંટણીને લઈને સટ્ટાબજાર પણ ભારે ખેલાયું હતું.
યુપીમાં ચૂંટણી પરિણામમાં ભાજપની જીત
ખેડૂતો વચ્ચે લાગી અનોખી શરત
4 વીઘા જમીન દાવ પર લગાવી દીધી
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવે તે પહેલા ભાજપની સરકાર બનશે કે સમાજવાદી પાર્ટીની સરકાર, તેને લઈને સટ્ટા બજાર ભારે ગરમ રહ્યું હતું. પણ બદાયૂ જિલ્લામાંથી એક મામલો સામે આવ્યો છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. હકીકતમાં જોઈએ તો, અહીં ભાજપ અને સપા સમર્થકોની વચ્ચે ચાર વીઘા જમીનને લઈને શરત લાગી હતી, જેની સાક્ષી આખુ ગામ બન્યું હતું. શરત એવી હતી કે, સપા અથવા ભાજપમાંથી જે પાર્ટી હારશે, તેના સમર્થકો પોતાના ચાર વીઘા જમીન જીતનારી પાર્ટીને આપશે. જે એક વર્ષ સુધી તેની પાસે રહેશે. તેના માટે બંનેએ રીતસરનું લખાણ પણ કરાવ્યું અને આ લખાણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયું છે.
શું છે મામલો
આપને જણાવી દઈએ કે, 10 માર્ચે યુપી વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો સામે આવ્યા અને ભારતીય જનતા પાર્ટી યુપીમાં ફરી વાર સત્તામાં આવી. તો વળી યુપીમાં યોગી સરકાર બન્યા બાદ અખિલેશ સમર્થકોનો પરસેવો છૂટી ગયો છે, કારણ કે શરત મુજબ સપા સમર્થકોએ પોતાની 4 વીઘા જમીન ભાજપના સમર્થક વિજય સિંહને આપવી પડશે. મીડિયા રિપોર્ટ્સમાાં જણાવ્યા અનુસાર આ મામલો બદાયૂ જિલ્લાના શેખુપુર વિધાનસભા મત વિસ્તારના ગામ વિરિયાડાંડીનો છે. એવું કહેવાય છે કે, એક સભામાં કોની સરકાર બનશે તેને લઈને ચર્ચા છેડાઈ ગઈ હતી.
શેર અલી અને વિજય સિંહ વચ્ચે લાગી શરત
કોઈ કહી રહ્યું હતું કે, આ વખતે સપાની સરકાર બનશે, તો કોઈ વળી ભાજપના વખાણ કરી રહ્યું હતું. આ દરમિયાન સભામાં બેઠેલા શેર અલીએ કહ્યું કે, આ વખતે સપાની સરકાર બનશે, તો વળી તેમની વાત કાપતા વિજય સિંહે કહ્યું કે, કોઈ પણ શરત લગાવી લો આ વખતે ભાજપની જ સરકાર બનશે. આ દરમિયાન બંને વચ્ચે ચાર ચાર વીઘા જમીનની શરત લાગી. તેના માટે લખાણ પણ વિધિવત થયા. ગામ લોકો સાક્ષી બન્યા. શરત મુજબ જેની સરકાર બને તેના સમર્થક હારેલા સમર્થકની ચાર વીઘા જમીન એક વર્ષ માટે ખેડશે. હારેલા સમર્થકનું પાક પર કોઈ દાવો કરી શકશે નહીં.
દબાણ આવશે તો જમીન આપવી પડશે- શેર સિંહ
શેર સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હવે શરત ખતમ થઈ ગઈ છે, અને મારી વાત વિજય સિંહ સાથે થઈ હતી. જ્યારે મે પૂછ્યુ કે, શું શરત પાછી લેવા માટે કંઈ લખાણ થયું છે કે ખરુ, ત્યારે શેર અલીએ કહ્યું કે, અમે તો કહ્યું હતું કે પણ હવે ભાજપની સરકાર બનવા પર મને શરત પુરી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ જો મારા પર સમસ્યા આવશે, તો જમીન પાછી આપવી પડશે.