બાબા બુલડોઝરના નામે પ્રખ્યાત થઈ ગયેલ યોગી આદિત્યનાથ સતત બીજી વાર ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. દેશભરમાં યોગી આદિત્યનાથ હવે પીએમ મોદી બાદ બીજા નંબરના સૌથી મોટા નેતા બનીને ઊભરી રહ્યા છે
ઉત્તરપ્રદેશ: પરિણામોનું પોસ્ટમોર્ટમ
મોદી મેજિકનો કમાલ હજુ યથાવત્
માયાવતીની પાર્ટીના વોટ ભાજપમાં ટ્રાન્સફર
અખિલેશ યાદવ ભલે હાર્યા પણ સીટો વધી
ભાજપનો વોટ શેર પણ 2017 જેવી જીત ન મળી
ચૂંટણી પરિણામો:
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા જેમાં ભારતીય જનતા પાર્ટી ઈતિહાસ રચી રહી છે. બાબા બુલડોઝરના નામે પ્રખ્યાત થઈ ગયેલ યોગી આદિત્યનાથ સતત બીજી વાર ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. દેશભરમાં યોગી આદિત્યનાથ હવે પીએમ મોદી બાદ બીજા નંબરના સૌથી મોટા નેતા બનીને ઊભરી રહ્યા છે, જોકે આ જીત 2017 જેવી ન થઈ શકી તેની કચાશ ક્યાંક ને ક્યાંક ભાજપના મનમાં રહી જશે.
ભાજપે રચ્યો ઈતિહાસ, પણ સહેજ કચાશ રહી ગઈ
ભારતીય જનતા પાર્ટીને 270 સીટો વધારે બેઠકો મળવા જઈ રહી છે ત્યારે દાયકાઓ બાદ ભાજપ સતત બીજીવાર લખનૌમાં સરકાર બનાવશે. આ જીતથી સ્પષ્ટ છે કે યોગી આદિત્યનાથનું કદ ઉત્તર પ્રદેશમાં સૌથી મોટું છે અને ભાજપ માટે વોટ ખેંચવામાં યોગીનો ચહેરો સુપરહિટ છે. 2017માં જ્યારે ભાજપને 312 સીટો મળી હતી તે સમયે 40 ટકા વોટ કમલ પર પડ્યા હતા, જોકે આ વખતે વોટ શેર વધીને 43 ટકાને પાર જઈ રહ્યો છે પણ સીટો ઘટી રહી છે.
અખિલેશની રેલીઓમાં ભીડ આવી પણ વોટ નહીં: જોકે વોટ અને સીટો બંને વધ્યા
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે પ્રચારમાં તો કોઈ જ કસર છોડી હતી નહીં, તેમની સભાઓમાં ભીડને જોઈને ઘણા એક્ઝિટ પોલમાં પણ સપાને 150ની આસપાસ સીટો બતાવવામાં આવી રહી હતી અને દેશના રાજકારણમાં એવી ચર્ચા હતી કે અખિલેશ યાદવ જોરદાર ટક્કર આપી રહ્યા છે, જોકે જે ભીડ અખિલેશ યાદવની રેલીમાં આવી રહી હતી તે ભીડે મત ન આપ્યા. સમાજવાદી પાર્ટીએ 2017ની તુલનામાં ચોક્કસ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે, 2017માં માત્ર 47 બેઠકો પર સમેટાઇ જનાર સમાજવાદી પાર્ટી 2022માં 120ને પાર જઈ રહી છે. 2017માં સમાજવાદી પાર્ટીને 21.8 ટકા વોટ મળ્યા હતા, જેમાં આ વખતની ચૂંટણીમાં વધારો થયો છે.
માયાવતીના હાથીનું રાજકારણ અસ્ત, મોટા ભાગના વોટ ભાજપને ટ્રાન્સફર થઈ ગયા
ચૂંટણીના પરિણામોમાં સૌથી ચોંકવાનારું કઈ રહ્યું તો માયાવતીની પાર્ટીનો રકાસ. ખુદ અમિત શાહે માયાવતી માટે કહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીને ઓછી ગણવી જોઈએ નહીં તેનું બેઝ મજબૂત છે. જોકે માયાવતીની પાર્ટીના હાલ કોંગ્રેસ જેવા જ થઈ ગયા અને 10નો આંકડો પણ બહુજન સમાજ પાર્ટી પાર કરી શકે તેમ નથી. આ જ બસપાને 2017માં સમાજવાદી પાર્ટી કરતાં પણ વધાર વોટ મળ્યા હતા, 2017માં બસપાને 22.2 ટકા વોટ અને 9 સીટો મળી હતી.
શું માયાવતીને પડદા પાછળથી ભાજપને સાથ આપી દીધો?
2022ના પરિણામો અનુસાર ઘણી એવી સીટો છે જ્યાં ભાજપ જીતી તેની પાછળ કારણ રહ્યું કે સમાજવાદી પાર્ટીના વોટ કપાઈ ગયા અને તે બહુજન સમાજ પાર્ટીમાં જતાં રહ્યા. સમાજવાદી પાર્ટી આ વખતે મુસ્લિમો સીટો પર ખૂબ આત્મવિશ્વાસમાં હતી પરંતુ ત્યાં માયાવતીએ પણ મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા. 91 મુસ્લિમ અને 15 સીટો પર માયાવતીએ સમાજવાદી પાર્ટીની જાતિના ઉમેદવારને જ ઉતાર્યા અને પરિણામ આવ્યું કે ભાજપ આગળ નીકળી ગઈ.
પ્રિયંકા ગાંધીનો જાદુ ન ચાલ્યો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તથા પ્રિયંકા ગાંધી કોઈ જ કમાલ કરી શક્યા નથી. પ્રિયંકાના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી 403માંથી માંડ 5 બેઠકો પણ જીતી શકે તેમ નથી. આ વખતે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરેલા હોવાથી કોંગ્રેસને આશા હતી કે કઈ નહીં તો સંગઠન મજબૂત થાય એટલી સીટો તો મળશે. પંજાબ તો હાથમાંથી ગયું જ છે, કોંગ્રેસ યુપીમાં પણ પોતાનું પ્રદર્શન સુધારી શકી નથી. પ્રિયંકા ગાંધીએ આ ચૂંટણીમાં લડકી હું લડ શકતી હું ને ટ્રેન્ડ કરાવ્યું અને મહિલા ઉમેદવારોને મેદાનમાં પણ ઉતાર્યા, જોકે વૉટરોને ખુશ કરવામાં પ્રિયંકા ગાંધીની છવિ પણ કોઈ જ કામમાં આવી નથી તેમ નહીં શકાય. આ ચૂંટણી બાદ હવે કોંગ્રેસ દેશમાં સરકાર તો ઠીક પરંતુ પોતાનું અસ્તિત્વ કઈ રીતે બચાવી શકે તેના માટે જ પ્રયાસો કરતી દેખાશે.
ફરી સાબિત થયું કે યુપીમાં હિન્દુત્વની નાવ પર સવાર થઈને પરીક્ષા થાય છે પાર
ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ જ હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો બન્યા અને સાથે સાથે પીએમ મોદીની કાશી યાત્રાથી પણ ભાજપ તરફ હિન્દુ વોટોં ખેંચાતા હતા. આ પરથી સાબિત થયું કે હિન્દુઓના વોટનું ધ્રુવીકરણ કરવામાં ભાજપ સફળ રહી.
એન્કાઉન્ટરના કારણે યોગીની છવિ કામ કરી ગઈ
2017 માં, જ્યારે યોગી આદિત્યનાથે યુપીના સીએમ તરીકે પદ સંભાળ્યું, ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે આ રાજ્યમાંથી ગુંડારાજનો અંત આવશે. ટૂંક સમયમાં ઘણા ગુનેગારોનો હિસાબ મળી ગયો. દરમિયાન, યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી મજબૂત થઈ ગઈ છે કે નાના ગુનાઓનો ગ્રાફ તેની જાતે જ નીચે જવા લાગ્યો છે. આજની તારીખમાં યુપીમાં ખંડણી, માફિયા વિસ્તાર, રમખાણ, લૂંટ-લૂંટ-ખંડણી જેવા ગુનાઓ નહિવત થઈ ગયા છે. માફિયા એન્કાઉન્ટરમાં યુપીના કેટલાય દુષ્પ્રેમીઓ પણ માર્યા ગયા. તેમાં મુન્ના બજરંગી, વિકાસ દુબે, રાજેશ ટોન્ટા (પશ્ચિમ યુપી)ના મોટા નામ છે. આના પરથી સ્પષ્ટ થઈ ગયું કે યોગી યુપીમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં ટોપર છે.
8 વર્ષ બાદ પણ મોદીની લહેર તો ચાલુ જ છે
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી કહી શકાય કે પ્રધાનમંત્રીની લોકપ્રિયતા અને મોદી લહેર હજુ ચાલી જ રહી છે. કોરોનાકાળ બાદ લોકો કહી રહ્યા હતા કે હવે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે, જોકે આંકડા તો કહી રહ્યા છે કે મોદી હજુ પણ સુપરહિટ છે અને 2014માં ચાલુ થયેલ મોદી લહેર હજુ ચાલુ જ છે. મોદી મેજિક સામે બેરોજગારી અને મોંઘવારીના કોઈ મુદ્દાનું કશું ચાલ્યું નહીં.
દાયકાઓ બાદ સરકાર થઈ રિપીટ
અત્યાર સુધી જે લીડ થઈ રહી છે તેમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં 37 વર્ષ પછી આવું થઈ રહ્યું છે, જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સરકારનું પુનરાવર્તન થઈ રહ્યું છે. યુપીમાં 2017 અને 2022માં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવી રહી છે. અગાઉ આવું વર્ષ 1980, 1985માં થયું હતું જ્યારે પૂર્ણ બહુમતી સાથે સરકારનું પુનરાવર્તન થયું હતું. ત્યારપછી કોંગ્રેસ 1980માં 309 સીટો સાથે, 1985માં 269 સીટો સાથે સરકારમાં આવી.