યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને બન્નેની પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે.
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે શિવપાલ સાથે કરી મુલાકાત
અખિલેશ અને શિવપાલની પાર્ટીઓ સાથે મળીને લડશે ચૂંટણી
શિવપાલ અખિલેશના સગા કાકા, 2017ની ચૂંટણીમાં બન્ને વચ્ચે વાંકુ પડ્યું હતું
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવે આયુધ સજ્જ કરી લીધા છે. યુપીમાં ભાજપનું પલડું ભારે હોવાનું અનેક સર્વેમાં સામે આવતા સમાજવાદી પાર્ટીને હારનો ડર લાગી રહ્યો છે અને તેથી હવે તેણે ગઠબંધનના સાથીઓ શોધવાની દિશામાં કામ શરુ કરી દીધું છે અને તેને પહેલી સફળતા પણ હાથ લાગી છે. યુપી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની તાકાત વધારવા તથા ભાજપને આકરી ટક્કર આપવા અખિલેશ યાદવે તેમના સગા કાકા શિવપાલ યાદવની પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
શિવપાલ યાદવ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના સગા કાકા છે પરંતુ સમાજવાદી પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાને કારણે શિવપાલે સપામાંથી અલગ થઈને અલગ પાર્ટીની રચના કરી હતી. પરંતુ હવે યૂપી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હવે કાકા-ભત્રીજાએ સમાધાન કરી લીધું છે.
प्रसपा के राष्ट्रीय अध्यक्ष जी से मुलाक़ात हुई और गठबंधन की बात तय हुई।
ગુરુવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના કાકા શિવપાલ યાદવ સાથે મુલાકાત કરી હતી અને બન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન પર સંમત થયા હતા.કાકા સાથેની મુલાકાત બાદ ખુદ અખિલેશે ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત થઈ અને ગઠબંધન નક્કી થયું. ક્ષેત્રીય દળોને નજીક લાવવાની સપાની નીતિ રહી છે અને સપા અને બીજા સહયોગીઓને ઐતિહાસિક જીત તરફ લઈ જઈ રહી છે.
હારનો ડર કે ભાજપનો ભય!
યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા અખિલેશને હારનો ડર કે ભાજપનો ભય લાગ્યો હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. યુપીમાં ભાજપનું પલડું ભારે હોવાનું લાગી રહ્યું છે તેથી અખિલેશે કાકા સાથે સમાધાન કર્યું છે.
2018માં બનાવી હતી નવી પાર્ટી
શિવપાલ યાદવ મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ છે. તેઓ સપાના ટોચના નેતાઓમાંના એક હતા. શિવપાલ યાદવ 2007માં માયાવતીના શાસનમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. જોકે 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે સંબંધો બગડ્યા હતા. ત્યારે શિવપાલ યાદવે નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર 2018માં શિવપાલ યાદવે પ્રગતિશીલ સમાજવાદી મોરચાની રચનાની જાહેરાત કરી હતી. શિવપાલ યાદવે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં તેમની પાર્ટીના ઉમેદવારો પણ ઉભા કર્યા હતા જેને કારણે સમાજવાદી પાર્ટીને ઘણું નુકશાન થયું હતું.
60થી 70 બેઠકો પર શિવપાલનો પ્રભાવ
પશ્ચિમ,અવધ અને બુંદેલખંડના લગભગ 10 જિલ્લાઓમાં 60થી 70 બેઠકો પર શિવપાલ યાદવનો પ્રભાવ છે. તેની પાછળનું કારણ એ છે કે તેઓ હજી પણ સહકારી મંડળીઓ પર કબજો ધરાવે છે. તે ઉપરાંત શિવપાલ તેમની મુખ્ય વોટ બેન્ક યાદવને પણ બચાવી રાખી શક્યા છે.