ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે દરેક પાર્ટીઓએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાજપ પણ ટૂંક સમયમાં કવાયત હાથ ધરવાની છે. ઉત્તર પ્રદેશમાં ફરી વખત સરકાર રચવા માટે ભાજપ દરેક નીતિ અજમાવવા માટે તૈયારી કરી લીધી છે.
UPમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ
UPમાં ફરી સરકાર બનાવવા માટે ભાજપ દરેક નીતિ અજમાવવા તૈયાર
ઉત્તર પ્રદેશમાં ફરી સરકાર બનાવવાને પગલે ઘણાં દિગ્ગજ નેતાઓ રાજ્યમાં રેલીઓ કરશે. સુત્રો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ યુપીમાં જીત નિશ્ચિત કરવા માટે રેલીઓ સંબોધશે. માહિતી મુજબ, વડાપ્રધાન મોદી દશેરા બાદ યુપીમાં 30થી વધુ રેલીઓ આયોજીત કરશે. જ્યારે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ અંદાજે 50 રેલીઓ અને જનસભાઓને સંબોધન કરશે. ભાજપ પ્રદેશ પ્રવક્તા સમીર સિંહે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદી 14 સપ્ટેમ્બરે અલીગઢ અને 26 સપ્ટેમ્બરે લખનઉમાં રહેશે. આ સાથે ગૃહપ્રધાન અમિત શાહની જનસભાઓ પણ રેલીઓની સાથે આગળ ધપશે.
વિપક્ષના પ્રહાર
પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની રેલીઓ બાબતે વિરોધી પક્ષોએ આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. એસપી પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે, ભાજપને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હારનો ડર સતાવી રહ્યો છે. જેના માટે પાર્ટી પોતાના મુખ્ય નેતાઓને પ્રચાર કરવા મેદાનમાં ઉતારી રહી છે. તેમણે કહ્યું કે, હવે ભાજપે સમજી જવુ જોઈએ કે રાજ્યની જનતાએ પરિવર્તનનું મન બનાવ્યું છે અને આગામી ચૂંટણીમાં સત્તામાં અચૂક ફેરફાર થશે.
કોંગ્રેસે કમર કસી
બીજી તરફ વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસે પણ તૈયારીઓનો ધમધમાટ આરંભી દીધો છે. પાર્ટી મહાસચિવ અને ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. આ દરમ્યાન તેઓ પાર્ટી નેતાઓ અને પદાધિકારીઓની સાથે બેઠક કરશે. આ સાથે વિધાનસભા ચૂંટણીમાં જીત નિશ્ચિત કરવા આક્રમક રણનીતિ ઘડવામાં આવશે.