Unseasonal rainfall forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જાણો VTV Gujarati પર 29થી 31 માર્ચ સુધી ક્યા વરસાદ પડશે.
3 દિવસ કમોસમી વરસાદની આગાહી
29, 30 અને 31 માર્ચ વરસાદની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રહેશે વરસાદ
ખેડૂતો પરથી હજુ માવઠાનું સંકટ નથી હટ્યું. આજથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માર્ચ મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી એટલે કે તારીખ 29 માર્ચથી 31મી માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 માર્ચથી 31 માર્ચ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, આજે એટલે કે 29 માર્ચે રાજ્યના દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને રાજકોટમાં વરસાદ પડી શકે છે.
આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
તો 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 31 માર્ચે ભરૂચ, સુરત, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે. આ માવઠાની આગાહીને કારણે જગતનો તાત પરેશાન થયો છે. તેમના આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણ દિવસ આકાશ સ્વચ્છ રહેશે, જ્યારે ગુરુવારે તે અંશતઃ વાદળછાયું બનશે, જોકે શુક્રવાર તા. 31 માર્ચે શહેરના આકાશમાં વાદળાઓ છવાઈ જશે. અલબત્ત, હવામાન વિભાગ દ્વારા તે દિવસે શહેરમાં વરસાદ પડવાની કોઈ આગાહી કરાઈ નથી.
ખેડૂતોને મોટું નુકસાન
આ વખતે માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવું વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમાં નુકસાની થવાના લીધે આગામી દિવસોમાં સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા પર ભાર વધશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠું વરસી રહ્યું છે જેમા પાકને ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને ખાસ કરીને સૌ કોઇ ઉનાળામાં રાહ જોઇ બેઠા હોય તે કેરી. આ પાકને હાલ ખાસ્સું એવું નુકસાન થયું છે, જે બજારમા ઉંચા ભાવે મળશે તેવું ખેડૂતો કહી રહ્યાં છે. કેરી પક્વતા ખેડૂતો ઉપરોક્ત આગાહીથી ચિંતાતુર બન્યા છે.
તો બીજી તરફ હવામાન વિભાગ મુજબ હજુ પણ રાજ્યમાં માવઠાની આગાહી છે, જો ફરીથી વરસાદ આવે તો હવે વધી રહેલા પાકને પણ નુકસાન થાય તેવો ખેડૂતોને અંદાજ છે. સરકારના મંત્રીએ ખેડૂતોના નુકસાન અંગે સર્વેની પ્રક્રિયાની વિચારણા અંગે જણાવ્યું છે. સવાલ એ છે કે માવઠાથી નુકસાનીનો સરવે કેવી રીતે થશે? માવઠાથી થયેલા નુકસાનમાં સહાયના માપદંડ શું? રવી પાકને જે નુકસાન થયું તેનું વળતર કઈ રીતે નક્કી થશે? નુકસાનીની ભરપાઈ કરવા ખેડૂત પાસે કોઈ વિકલ્પ છે?