રાજ્યમાં ગઈકાલે અને આજે પડેલા કમોસમી વરસાદથી અનેક ઠેકાણે ઊભા પાકનો સત્યાનાશ થઈ ગયો છે
મહેનત પર ફરી વળ્યું પાણી
ઊભો પાક થઈ ગયો નષ્ટ
આ વર્ષે મગફળીના ઉતારામાં ઘટ
આપણો દેશ ખેતીપ્રધાન છે ત્યારે વરસાદ આપણા અર્થતંત્ર માટે મહત્વનો ભાગ ભજવે છેપરંતુ જ્યારે આ વરસાદ કવેળાએ આવે છે ત્યારે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય છેગઈ કાલે આપણા રાજ્યમાં આવેલા વરસાદે અનેક વિસ્તારોમાં ઊભા પાકનો સોથ વાળી દીધો છે. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ક્યાંક ડાંગરને નુકસાન થયું છે તો ક્યાંક મગફળી બગડી ગઈ છે તો ક્યાંક મકાઈના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે
ઉભા પાકમાં ઘૂંટણ સમા પાણી
મહીસાગર જિલ્લામાં ગુરુવારની મોડી રાત્રે ગાજ-વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડુતોના તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે. મહીસાગર જીલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમા ઉભા પાકમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડુતોનો પાક નષ્ટ થઈ ગયો છે. આ સિઝનમાં આણંદના અનેક ખેતરોમાં ડાંગર, મગફળી તેમજ મકાઈ જેવાં પાક ઊભા હતા. પરંતુ ઊભા પાકમાં વરસાદના પાણી ભરાઈ જવાથી ખેડૂતો ની મહેનત પર પાણી ફરી વળ્યું છે લુણાવાડા તાલુકા વિસ્તારના ગધનપુર ગામે 200 થી ઉપરાંત એકર જમીન પર ડાંગરનો પાક હતોથોડા સમય પહેલા પાકમાં જીવાત પડી જવાથી 50 ટકા જેટલો પાક નષ્ટ થઇ ગયો હતો. ત્યારે હવે બાકી બચેલા ઉભા પાકમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ખેતી પાછળ કરેલ ખર્ચ માથે પડ્યો છેઆથી ખેડૂતો સરકાર પાસે સહાય ની માંગ કરી રહ્યા છે.
ગીર સોમનાથમાં મગફળીનો ઉતારો ઓછો આવશે..!
તો આ તરફ ગીર સોમનાથમાં દર વર્ષે મગફળી ખેડૂતોની દિવાળી નક્કી કરતી હોય છે. આ વર્ષે પણ ખેડૂતોને મગફળી પર મોટી આશા હતી. પરંતુ સતત વરસાદના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સતત કથળી રહેલા હવામાન અને કમોસમી વરસાદના કારણે વર્ષ માત્ર એક વીઘા જમીનમાંથી 10 થી 15 મણ મગફળીનો જ ઉતારો આવી રહ્યો છે જેને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વખતે અનિયમિત હવામાનથી મગફળીના ઉત્પાદનમાં લગભગ 50 ટકા ઘટાડો થયો હોવાનું ખેડૂતો જણાવી રહયા છે.
આણંદના વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન
તો આ તરફ આણંદમાં પડેલા વરસાદને કારણે ડાંગરના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. આપને જણાવી દઈએ કે અહિના ખેડૂતોએ ડાંગરના પાકને લણવાની તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ મોડી સાંજે મુશળધાર વરસાદ પડતા ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોને વિઘા દીઠ વાવણીના 12થી18 હજાર રૂપિયાનો ખર્ચો પર માથે પડ્યો છે. આ વરસાદના કારણે પશુઓના ઘાસચારાની પણ સમસ્યા પેદા થશે આમ રાજ્યમાં ગઈકાલે અને આજે પડેલા કમોસમી વરસાદથી અનેક ઠેકાણે ઊભા પાકનો સોથ વળી ગયો છેત્યારે ખેડૂતો તરફથી સરકાર પાસે સહાયની માગણી ઉઠી છે