સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશોએ પુલવામા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. જમ્મૂ-કાશ્મીરના પુલવામા થયેલા ફિદાયીન હુમલાને સભ્ય દેશોએ ધૃણિત અને કાયરતા ભર્યું પગલું બતાવ્યું.
14 ફેબ્રુઆરીએ થયેલા આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.
ભારતના પ્રસ્તાવ પર UNSCના P5 દેશ (કાયમી સભ્યો) અને 10 અસ્થાયી સભ્યોએ આ હુમલાની નિંદા કરી જેમાં ચીન પણ સામેલ છે.
સુરક્ષા પરિષદના સભ્યોએ જવાનોના પીડિત પરિવારો ઘાયલ લોકો અને ભારત સરકાર પ્રતિ સહાનુભૂતિ અને સાંત્વના વ્યક્ત કરી છે. જ્યારે આ હુમલાના ઘાયલ થયેલા જવાનો જલ્દી સારા થાય તેવી પ્રાર્થના કરવામાં આવી.
સુરક્ષા પરિષદના દેશોએ આ વાત પર જોર આપ્યું છે કે આતંકવાદને કોઇપણ સ્વરૂપે સાંખી લેવામાં આવશે નહીં. આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા વચ્ચે મોટો ખતરો છે.
સુરક્ષા પરિષદના દેશોએ આ જરૂરિયાત પર ભાર મુક્યો છે કે આતંકવાદનું ષડયંત્ર કરનારા આયજકો અને ફંડ આપનાર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ.