ઉન્નાવ ગેંગરેપ (Unnao Case) પીડિતાના કાર અકસ્માત મામલે કેન્દ્ર સરકારે CBI ને તપાસ સોંપી છે. સોમવારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે સીબીઆઈ તપાસનું સુચન કેન્દ્ર સરકારને મોકલ્યું હતું અને પ્રદેશ સ્તરે તપાસ કરવા માટે SITની રચના કરી હતી.
જોકે, હવે કેન્દ્રએ સીબીઆઈ તપાસના આદેશ કરતા સીબીઆઈની ટીમ પહોંચતાની સાથે SIT સીબીઆઈને તપાસનો દોર સોંપી દેશે. આપને જણાવી દઈએ કે પીડિતા સાથે ગેંગરેપનો કેસ પહેલેથી સીબીઆઈ પાસે છે ત્યારે હવે તેના અકસ્માતની તપાસ પણ સીબીઆઈ કરશે.
ધારાસભ્ય કુલદીપ સિંહ વિરુદ્ધ FIR
એફઆઇઆરમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર, તેમના ભાઇ મનોજ સેંગર પણ સામેલ છે. ભારતીય દંડ સંહિતાની 302, 307, 506, 120Bની ધારાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવ્યો છે. હાલ રોડ અકસ્માતની શિકાર ઉન્નાવની બળાત્કારની પીડિતાની હાલત ગંભીર બતાવાઇ રહી છે.
લખનઉના કેજીએમસી હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે એક્સિડેન્ટને કારણે પીડિતાના ફેફસામાં ઇજા પહોંચી છે. કેટલાક સમય માટે પીડિતાને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તેનું બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે. ઉપરાંત પીડિતાના શરીરમાં વિભિન્ન ભાગોમાં ફ્રેક્ચર્સ થયા છે.
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં થયેલ રોડ એક્સિડેન્ડમાં ઉન્નાવ રેપ મામલાની પીડિતા ગંભીર રૂપે ઘાયલ થઇ છે. આ અકસ્માતમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થઇ ગયા છે. જ્યારે અકસ્માત બાદ કુલદીપ સિંહ સેંગર તથા તેમની સાથે જોડાયેલા સભ્યોની લિંક તપાસવામાં આવી રહી છે.
ઉન્નાવની દુષ્કર્મ પીડિતાના અકસ્માત મામલે ઉત્તરપ્રદેશ પોલીસે સ્પષ્ટતા આપી છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે અકસ્માત બાદ ઉઠેલા સવાલોનો જવાબ મેળવવા માટે કેસની તપાસ CBIને સોંપવામાં આવી શકે છે. આ સાથે જ ઉત્તરપ્રદેશના ડીજીપીએ દાવો કર્યો કે પ્રથમ દ્રષ્ટીએ ઘટના અકસ્માતની લાગી રહી છે અને પીડિતાના કહેવાને કારણે જ તેમની સાથે ગાર્ડ મુસાફરી કરી રહ્યો નહોતો.
ડીજીપી ઓપી સિંહે કહ્યું કે પીડિતાની સુરક્ષાને લઇને 10 પોલીસકર્મીઓને મુકવામાં આવ્યાં હતા. 7 પોલીસકર્મી હાઉસ ગાર્ડ તરીકે રહેતા હતા જ્યારે 3 પીડિતાની સાથે રહેતા હતા. આમ ડીજીપીએ જણાવ્યું હતું કે પીડિતાએ પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે બોલાવી લઇશ. આ જ કારણે અકસ્માત સમયે સુરક્ષાકર્મી સાથે નહોતાં.
અખિલેશે યાદવે હત્યાનો પ્રયાસ ગણાવ્યો
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે ગંભીર ઘટના થઈ છે. તેમણે આ ઘટના પાછળ પીડિતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
ઉન્નાવ દુષ્કર્મ મામલે બે મોત પહેલાં જ થઈ ચૂક્યા છે. પીડિતાના પિતાનું જેલમાં જ એપ્રિલ 2018માં એક હુમલા પછી મોત થઈ ગયું છે. આ હુમલાના સાક્ષીનું ઓગસ્ટ 2018માં શંકાસ્પદ રીતે મોત થઈ ગયું છે.