ઉન્નાવ બળાત્કાર પીડિતાના આજે રવિવારે અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તેના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરાયા નથી પરંતુ દફનાવાયો છે. બીજી તરફ પીડિતાની બહેને મુખ્યમંત્રી આવાસની સામે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી છે. પીડિતાની બહેને કહ્યું કે, જો એક સપ્તાહમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવી તો મુખ્યમંત્રી આવાસ સામે આત્મદાહ કરીશ.
ઉન્નાવ બળાત્કાર પીડિતાના આજે રવિવારે અંતિમ સંસ્કાર કરી દેવાયા
પીડિતાની બહેને મુખ્યમંત્રી આવાસની સામે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી
પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયા સહાય કરવામાં આવી છે
નોંધનીય છે કે, પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયા સહાય કરવામાં આવી છે. પીડિતાના બહેનને સરકારી નોકરી આપવામાં આવશે તથા આવાસ યોજના હેઠળ પરિવારને મકાન આપવામાં આવશે. આ ઉપરાંત પીડિતાની બહેનને મહિલા પોલીસની સુરક્ષા પણ આપવામાં આવશે. તથા પીડિતાના ઘરે પણ સુરક્ષા અપાશે.
શું છે મામલો?
ઉન્નાવ ગેંગરેપ પીડિતાને ગુરુવારે જીવતી સળગાવવાની કોશિશ કરાઇ હતી. જેમા પીડિતા 95 ટકા બળી ગઇ હતી. ત્યારબાદ પીડિતાને લખનઉની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યારે લખનઉમાં પીડિતાની હાલતમાં કોઇ સુધાર ન આવ્યો તો, તેને એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડાઇ હતી અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
જોકે, ઉન્નાવની પુત્રીને બચાવી શકાઇ નહોતી. જિંદગીન જંગ લડી રહેલી ઉન્નાવ ગેંગરેપ પીડિતાએ શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીમાં પીડિતાની મોત બાદ લખનઉથી દિલ્હી સુધી હંગામો થયો હતો.