ઉન્નાવ રેપ (Unnao Case) પીડિતાની સાથે થયેલ રોડ અકસ્માતને લઇને ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ નોંધાયો છે. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને માસીના મોત થયા છે. પીડિતાના કાકાએ કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ FIR નોંધાવી છે.
ધારાસભ્ય કુલદીપ સિંહ વિરુદ્ધ FIR
એફઆઇઆરમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર, તેમના ભાઇ મનોજ સેંગર પણ સામેલ છે. ભારતીય દંડ સંહિતાની 302, 307, 506, 120Bની ધારાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવ્યો છે. હાલ રોડ અકસ્માતની શિકાર ઉન્નાવની બળાત્કારની પીડિતાની હાલત ગંભીર બતાવાઇ રહી છે. લખનઉના કેજીએમસી હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે એક્સિડેન્ટને કારણે પીડિતાના ફેફસામાં ઇજા પહોંચી છે. કેટલાક સમય માટે પીડિતાને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. તેનું બ્લડ પ્રેશર ઘટી રહ્યું છે. ઉપરાંત પીડિતાના શરીરમાં વિભિન્ન ભાગોમાં ફ્રેક્ચર્સ થયા છે.
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં થયેલ રોડ એક્સિડેન્ડમાં ઉન્નાવ રેપ મામલાની પીડિતા ગંભીર રૂપે ઘાયલ થઇ છે. આ અકસ્માતમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થઇ ગયા છે. જ્યારે અકસ્માત બાદ કુલદીપ સિંહ સેંગર તથા તેમની સાથે જોડાયેલા સભ્યોની લિંક તપાસવામાં આવી રહી છે.
પીડિતાના કાકાની સીબીઆઇ તપાસની માંગ
એડીજી લખનઉ રેન્જ રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે, પીડિતાના કાકાના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધાઇ છે. તેમણે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી. અમે આ વિશે અધિકારીઓને રિપોર્ટ સોંપ્યો છે. તેના આધારે કેસ ઈન્ટેલિજન્સ એજન્સીઓને સોંપવામાં આવશે. ટ્રક ડ્રાઈવર, ક્લીનર અને તેના માલિકની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
એમની કોલ રેકોર્ડ સાથે કુલદીપ સિંહ સેંગર અથવા તેના અંગત લોકોની લિંક તપાસવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર ફોરેન્સિક ટીમને મોકલી દેવાઇ છે. આ અકસ્માત પીડિતાની કાર સાથે ટ્રકના ટકરાવાથી થયો હતો. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહ પણ ઘાયલ પીડિતાને મળવા ટ્રોમા સેન્ટર પહોંચ્યા.
પીડિતાના મામાનો આરોપ- આ એક ષડયંત્ર છે
પીડિતાના મામાનો આરોપ છે કે, આ અકસ્માત નથી પરંતુ એક ષડયંત્ર છે. જે ધારાસભ્યોના માણસોએ પુરૂ પાડ્યું છે. જે ટ્રકે કારને ટક્કર મારી છે તેની નંબર પ્લેટ ઉપર કાળી સહી લગાવી દેવાઇ હતી. જેથી નંબર પ્લેટ પણ પ્રોપર રીતે જોઈ શકાય નહીં. પોલીસે ટ્રક જપ્ત કરી છે અને ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જ્યારે એસપી સુનિલ સિંહે કહ્યું છે કે, આ કોઈ ષડયંત્ર નથી. તેમ છતા આ વિશે કોઈ ફરિયાદ હશે તો તેની યોગ્ય તપાસ કરવામાં આવશે.
સુરક્ષા કર્મીઓની સાથે નહોતા
પોલીસના જણાવ્યું છે કે અકસ્માત કરનાર ટ્રક ફતેહપુરની છે તથા ટ્રક માલિકની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે પરિવાર સાથે સુરક્ષામાં રહેતા બે સુરક્ષા કર્મી પણ તેમની સાથે નહોતા. લખનઉની ફોરેન્સિક ટીમ ઘટના સ્થળની તપાસ કરી રહી છે. ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર તેમના ગામની યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. તે સીતાપુર જેલમાં છે. ઘટનાની સીબીઆઈ તપાસ કરવામાં આવી રહી છે.
ડીજીપી ઓપી સિંહનું કહેવું છે કે, પીડિતાની સુરક્ષામાં કોઈ બેદરકારી રાખવામાં આવી નથી. કારમાં જગ્યા ન હોવાના કારણે પીડિતાના સુરક્ષાકર્મીઓને સાથે ન આવવાનું કહેવામાં આવ્યું હતું. જો આ કેસમાં પરિવાર સીબીઆઈ તપાસની માંગ કરશે તો અમે આ કેસ સીબીઆઈને સોંપી દઈશું.
અખિલેશે યાદવે હત્યાનો પ્રયાસ ગણાવ્યો
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે ગંભીર ઘટના થઈ છે. તેમણે આ ઘટના પાછળ પીડિતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
ઉન્નાવ દુષ્કર્મ મામલે બે મોત પહેલાં જ થઈ ચૂક્યા છે. પીડિતાના પિતાનું જેલમાં જ એપ્રિલ 2018માં એક હુમલા પછી મોત થઈ ગયું છે. આ હુમલાના સાક્ષીનું ઓગસ્ટ 2018માં શંકાસ્પદ રીતે મોત થઈ ગયું છે.