ઉત્તરપ્રદેશના રાયબરેલી પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલો એક અકસ્માત વિવાદનો મુદ્દો બન્યો છે અને આશંકા સેવાઈ રહી છે કે કારમાં સવાર લોકોને જાનથી મારી નાખવા માટે જ અકસ્માત કરવામાં આવ્યો. ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે થયેલા અકસ્માતને લઇને સીબીઆઇ તપાસ માટે યોગી આદિત્યનાથ સરકાર તૈયાર થઇ ગઇ છે.
યુપી સરકારે જણાવ્યું છે કે જો પરિવાર ઇચ્છે તો અકસ્માતની સીબીઆઇ તપાસ કરવામાં આવી શકે છે. આ વચ્ચે ભાજપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના પરિવારજનોએ ઉન્નાવના માખી ગાંવથી ફરાર થઇ ગયો છે. માખી ગામમાં કુલદિપ સિંહ સેંગરના ઘરમાં તેમની બહેન પપ્પી સિંહ અને નોકર રહેતા હતાં.
અકસ્માત બાદ પોલીસના ડરથી બધા લોકો ઘર છોડીને જતાં રહ્યાં છે. જો કે આ અકસ્માતને લઇને આશંકા સેવાઇ રહી છે કે કારમાં સવાર લોકોને જાનથી મારી નાંખવા માટે કરવામાં આવ્યો હતો. જેનું મુખ્ય કારણ એ છે કે કારમાં સવાર એક યુવતી દુષ્કર્મની પીડિતા હતી.
આ અકસ્માતમાં પીડિતાની કાકીનું મોત થઇ ગયું હતું. જ્યારે આ અકસ્માતમાં પીડિતાની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે આ પીડિતાએ બે વર્ષ અગાઉ આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે તેના સાથે દૂષ્કર્મ કર્યું હતું. આમ અત્યારે આ મામલો કોર્ટમાં છે. પણ હવે પીડિતા પર જ જીવલેણ હુમલો થતાં કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે.
ઉન્નાવની દુષ્કર્મ પીડિતાના અકસ્માત મામલે પોલીસની સ્પષ્ટતા
ઉન્નાવની દુષ્કર્મ પીડિતાના અકસ્માત મામલે ઉત્તરપ્રદેશ પોલીસે સ્પષ્ટતા આપી છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે અકસ્માત બાદ ઉઠેલા સવાલોનો જવાબ મેળવવા માટે કેસની તપાસ CBIને સોંપવામાં આવી શકે છે. જો કેસની તપાસ CBI કરશે તો તપાસ એજન્સીને પુરેપુરો સહયોગ આપવામાં આવશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના ડીજીપીએ દાવો કર્યો કે પ્રથમ દ્રષ્ટીએ ઘટના અકસ્માતની લાગી રહી છે અને પીડિતાના કહેવાને કારણે જ તેમની સાથે ગાર્ડ મુસાફરી કરી રહ્યો નહોતો.
ડીજીપી ઓપી સિંહે કહ્યું કે પીડિતાની સુરક્ષાને લઇને 10 પોલીસકર્મીઓને મુકવામાં આવ્યાં હતા. 7 પોલીસકર્મી હાઉસ ગાર્ડ તરીકે રહેતા હતા જ્યારે 3 પીડિતાની સાથે રહેતા હતા. આમ ડીજીપીએ જણાવ્યું હતું કે પીડિતાએ પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે બોલાવી લઇશ. આ જ કારણે અકસ્માત સમયે સુરક્ષાકર્મી સાથે નહોતાં.