ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે તેને લઇને હવે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ પાર્ટીઓએ રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ ખાતે પીડિતાના પિતા સાથે બંધ બારણે મુલાકાત કરી. જ્યારે બીજી તરફ યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા છે.
ઉન્નાવ કેસને લઇને ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું
ઉન્નાવ કેસને લઇને અખિલેશ અને પ્રિયંકા ગાધીના પ્રહાર
સીએમ યોગી પર ઉન્નાવ દુષ્કર્મ કેસને લઇને નિશાન તાક્યું
ઉલ્લેખનીય છે કે આ અગાઉ યુપીના સીએમ યોગી આદિત્યનાથે મૃત પીડિતાને ન્યાય અપાવાની વાત કરી છે. પીડિતાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં આરોપીઓને જલ્દી સજા અપાવાનું કહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ઘટના પર જણાવ્યું છે કે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. દોષીઓને જલ્દીથી જલ્દી સજા આપવામાં આશે. સીએમ યોગીએ આ ઘટનાને દૂર્ભાગ્ય પૂર્ણ ગણાવી છે, આ સાથે જ કહ્યું કે આ ઘટના દુઃખદ છે.
વિધાનસભા બહાર ધરણા પર અખિલેશ યાદવ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન તાક્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે દિકરીઓ પર થઇ રહેલા અત્યાચારથી દેશમાં આક્રોશ છે. યુપીમાં જેના પર આરોપ લગાવામાં આવ્યો છે તે ભાજપ સાથે જોડાયેલા છે.
અખિલેશ યાદવે જણાવ્યું કે ભાજપ સરકાર દાવો કરી રહી છે કે કાયદા વ્યવસ્થા ઠીક છે, તમે સીએમની નિવેદન ન સાંભળ્યું? સીએમએ કહ્યું હતું કે અપરાધીઓને ઠાર મરાશે. જે અપરાધીઓ હતા તે યુપી છોડીને જતા રહ્યાં. જ્યાં સુધી સીએમ, હોમ સેક્રેટરી અને ડીજીપી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ન્યાય થશે નહીં.
પ્રિયંકા ગાંધી ઉન્નાવમાં પીડિતાના પરિવારને મળશે
કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મામલે રાજ્યની યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ ખાતે પીડિતાના પિતા સાથે બંધ બારણે બેઠક કરી છે. આ અગાઉ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે ઉન્નાવ પીડિતાના પરિવારને આ દુઃખના સમયે હિમ્મત આપે.