ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પીડિતાના મોત બાદ પિતાએ યોગી સરકાર સમક્ષ માંગ કરી છે કે હૈદરાબાદની જેમ જ આ 5 આરોપીઓનું એન્કાઉન્ટર કરો. આરોપીઓએ અમારી સાથે મારપીટ કરી હતી અને સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. અમને કોઈ રૂપિયા કે કોઈ વસ્તુની લાલચ નથી. એક જ માંગ છે કે અમારી દીકરીના આરોપીઓને મોતની સજા મળે.
માત્ર એક જ માગ, આરોપીઓને મોતની સજા થાયઃ પીડિતાના પિતા
હૈદરાબાદની જેમ જ આરોપીઓનું કરો એન્કાઉન્ટરઃ પીડિતાના પિતા
ઉન્નાવમાં દુષ્કર્મ બાદ સળગાવી દેવાયેલી પીડિતાએ શુક્રવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. પીડિતાના પિતાએ કહ્યું કે તેમને દીકરીના મૃત્યુના કોઈ સમાચાર આપવામાં આવ્યા ન હતા. દીકરીને માટે ન્યાયની અપીલ કરતાં પિતાએ કહ્યું છે કે આવી હેવાનિયત કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમને દોડાવી દોડાવીને મારી નાંખવામાં આવે.
આરોપીઓની સજાથી મળશે દીકરીના આત્માને શાંતિઃ પિતા
પીડિતાના પિતાએ આક્રોશ સાથે એમ પણ કહ્યું છે કે હૈદરાબાદ કાંડના આરોપીઓને મારી નાંખવામાં આવ્યા તેવી જ રીતે અમારી દીકરીના આરોપીઓને પણ સજા આપવામાં આવે. તેઓએ કહ્યું કે જ્યારે આરોપીઓને સજા મળશે ત્યારે જ મારી દીકરીની આત્માને શાંતિ મળશે.
પરિવારને મળી જાનથી મારી નાંખવાની ધમકી
પીડિતાના પિતાએ કહ્યું કે દીકરીની સાથે દુષ્કર્મની ઘટના બાદ તેમના આખા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. તેઓએ .યોગી સરકારને ન્યાયની અપીલ કરતાં કહ્યું કે અમને રૂપિયા કે અન્ય કોઈ વસ્તુની લાલચ નથી. અમે ઈચ્છીએ છીએ કે આરોપીઓને સજા મળે અને અમને ન્યાય. તેનાથી મારી દીકરીના આત્માને શાંતિ મળશે.
ઘટનામાં 5 આરોપીઓ ગિરફ્તાર
મળતી માહિતીના આધારે પીડિતાને સળગાવનારા 5 આરોપીઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. તેમાંથી 2એ ગયા વર્ષે પીડિતા સાથે રૅપ કર્યો હતો. તે સમયે તેમાંથી એકને ગિરફ્તાર કરાયો હતો જે હાલમાં જામીન પર બહાર આવ્યો હતો.
શું છે ઘટના?
ઉલ્લેખનીય છે કે ગુરુવારની સવારે 5 લોકોએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને સળગાવી દેવાની કોશિશ કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી માહિતી અનુસાર પીડિતાએ હિંમત દેખાડી અને લગભગ 1 કિમી દૂર સુધી ગઈ હતી. તેણે પોતે પોલીસ મદદ માટે અવાજ લગાવ્યા. આ ઘટના ઉન્નાવની પાસેના સિંદુપુર ગામની છે. 90 ટકા બળેલી હાલતમાં પીડિતાને ઉન્નાવથી લખનૌ રિફર કરવામાં આવી. અહીંથી વધુ સારી સારવાર માટે દિલ્હી સફદરજંગ હોસ્પિટલ લાવવામાં આવી. હાલત અત્યંત ગંભીર હોઈ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ડોક્ટરોએ પહેલાં જ જવાબ આપી દીધો હતો કે હાલત ગંભીર છે. આખરે શુક્રવારે રાતે 11.40 મિનિટે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા.