મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોના સામેની જંગમાં કેસની સંખ્યા વધ-ઘટના આધારે નવા માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત કરાય છે. શહેરમાં ધન્વંતરી રથ ફરી રહ્યા છે. ઘરઆંગણે મેડિકલ તપાસ માટે ૧૦૪ની સેવા શરૂ કરાઇ છે. તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફિલ્ડમાં ઉતારી દેવાયા છે. સર્વેલન્સ અને ટેસ્ટિંગ પર હવે વધારે ભાર મૂકવો તેવા કેન્દ્રના હેલ્થ ટીમના આદેશ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમ છતાં શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
અનલોક-૧ હેઠળ ગત તા.૧ જૂનથી લોકડાઉનમાં વ્યાપક છૂટછાટ અપાતા અને લોકોમાં કોરોનાએ જાણે શહેરમાંથી વિદાય લીધી હોય તે રીતે માસ્ક વગર ફરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવું વગેરે પ્રકારની બેદરકારી વધી જવાથી કોરોનાના કેસ અટકવાનું નામ લેતા નથી. ગત તા.૧ જૂનથી ગત તા.૩૦ જૂન સુધીના અનલોક-૧ હેઠળના સમયગાળામાં શહેરમાં કોરોનાના નવા ૭,૯૦પ કેસ નોંધાયા છે. આ બાબત એક રીતે અમદાવાદીઓ માટે ચિંતાજનક જ છે.
અમદાવાદમાં કોરોનાનો પહેલો કેસ ગત તા.૧૯ માર્ચે નોંધાયો હતો. માર્ચમાં શહેરમાં કુલ ર૩ કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં કુલ ૭૪ કેસ થતા રાજ્યના કુલ કેસના ૩૧ ટકા કેસ અમદાવાદમાં હતા. ત્યાર બાદ એપ્રિલમાં અમદાવાદમાં નવા ૩,૦૦૩ કેસ અને રાજ્યમાં નવા ૪,૩ર૧ કેસ નોંધાયા હતા. એપ્રિલમાં અમદાવાદમાં રાજયના કુલ કેસના ૭૦ ટકા કેસ નોંધાયા હતા.
જ્યારે મે મહિનામાં રાજ્યના નવા ૧ર,૩૯૯ કેસ પૈૈકી અમદાવાદમાં નવા ૯,૧પ૪ કેસ નોંધાતા અમદાવાદમાં રાજ્યના કુલ ૭૪ ટકા કેસ નોંધાયા હતા. જોકે જૂનમાં અમદાવાદમાં નવા ૭,૯૦પ કેસ નોંધાયા છે. આની સામે રાજ્યમાં નવા ૧પ,૮૪૯ કેસ નોંધાયા છે. એટલે કે જૂનના અનલોક-૧ના સમયગાળામાં રાજ્યના કુલ નવા કેસમાં જોકે અમદાવાદનો પ૦ ટકા જ કેસ છે. જ્યારે રાજ્યના કુલ કેસમાં અમદાવાદના ૬૪ ટકા કેસ છે. આમ અમદાવાદ હવે કોરોનાને હોટસ્પોટ બનવાને બદલે કોસ્મોપોલિટન સિટીની ઓળખ ધરાવતા સુરત શહેર અને જિલ્લામાં કોરોના વધુ ઉગ્ર બન્યો છે.
એક સમયે મધ્ય ઝોનનું જમાલપુર કોરોનાનું એપી સેન્ટર બન્યું હતું. જોકે હવે કોરોનાએ પશ્ચિમ અમદાવાદમાં વિકરાળરૂપ ધારણ કર્યું છે. શહેરમાં ગત તા.૩૧મેની સ્થિતિએ કુલ ૪૩૬૦ એક્ટિવ કેસ હતા. જેમાં પશ્ચિમ વિસ્તારના ફકત ૯૬ર કેસ એટલે કે રર ટકા એક્ટિવ કેસ હતા, પરંતુ હવે મધ્ય ઝોનમાં માત્ર ૧૯૦ એક્ટિવ કેસ હોઇ પશ્ચિમ અમદાવાદમાં ૧,પ૪૮ એક્ટિવ કેસ નોંધાયા છે.
ગઇ કાલે તંત્ર દ્વારા અસારવા અને શાહીબાગમાંથી માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયા દૂર કરાયા બાદ હવે મધ્ય ઝોનમાં એક પણ એરિયા માઇક્રોકન્ટેન્મેન્ટ હેઠળ નથી. અત્યારની સ્થિતિએ વટવા અને ઠક્કરબાપાનગરમાં એક-એક મળીને નવા બે માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયા છે. હવે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ર૬ માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયા છે. જ્યારે પૂર્વમાં ૧૪ માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયા થતા શહેરમાં કુલ ૪૦ માઇક્રોકન્ટેન્મેન્ટ એરિયા છે. મધ્ય ઝોનમાં સતત કોરોનાના કેસ ઘટી રહ્યા હોઇ તંત્રે પણ હાશકારો અનુભવીને પોતાનું ધ્યાન હવે પશ્ચિમ અમદાવાદ તરફ કેન્દ્રીત કર્યું છે.
બીજી તરફ તંત્ર દ્વારા આજથી શહેરભરમાં એન્ટી રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરાઇ છે. એન્ટી રેપિડ ટેસ્ટ લેવા તંત્રે દરરોજના ૧૦,૦૦૦ ટેસ્ટનો લક્ષ્યાંક નક્કી કર્યો હોઇ સમગ્ર શહેરમાં સર્વેલન્સની સાથે આક્રમક ટેસ્ટિંગ પણ હવે આરંભાયું છે.
જ્યારે અનલોક-રમાં આજથી રાજ્ય સરકાર દ્વારા દુકાનને રાતે ૮-૦૦ વાગ્યા સુધી અને હોટલ-રેસ્ટોરાંને રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપી હોઇ અમદાવાદમાં પણ આ સમયગાળામ સુધી દુકાન અને હોટલ-રેસ્ટોરાં ખુલ્લાં રાખી શકાશે. જોકે એએમટીએસ અને બીઆરટીએસ બસને મ્યુનિ. સત્તાવાળાઓએ હજુ રિવરબ્રિજ ઓળંગવાની પરવાનગી આપી ન હોઇ હજુ ગત તા.૧ જૂનની સ્થિતિ યથાવત્ રહી છે. જોકે ૧૦-૧પ દિવસમાં તંત્ર દ્વારા નવો નિર્ણય લેવાય તેવી શકયતા છે.