કેન્દ્ર સરકાર આજે અનલોક-૪.૦ની ગાઇડલાઇન જાહેર કરશે. કોરોના વાઇરસ લોકડાઉન બાદ અર્થતંત્રને વધુ ખોલવા માટે ૧ સપ્ટેમ્બરથી અનલોક-૪.૦નો અમલ શરૂ થશે.
કોરોના વાઇરસ લોકડાઉન બાદ દેશ અત્યારે અનલોક-૩.૦ના તબક્કામાં છે અને હજુ પણ કેટલાય પ્રકારના પ્રતિબંધો લાગુ છે કે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતાં રોકી શકાય. અનલોક-૪.૦માં કોવિડ-૧૯ હોટસ્પોટથી ઘરેલુ ફલાઇટને કોલકાતામાં લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવશે. ૧ સપ્ટેમ્બરથી છ શહેર દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નઇ અને અમદાવાદથી વિમાની સેવાઓ સપ્તાહમાં ત્રણ વખત ફરીથી શરૂ થઇ શકે છે.
લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર શાળા-કોલેજો ખોલવા અંગે કોઇ નિર્ણય જાહેર કરે
આજે જાહેર થનારી અનલોક-૪.૦ની ગાઇડલાઇન્સમાં સૌથી વધુ લોકોને એવી અપેક્ષા છે કે શું સરકાર ૧ સપ્ટેમ્બરથી શાળાઓ ફરીથી શરૂ કરશે કે જેથી બાળકોનો અભ્યાસ શરૂ થઇ શકે. છેલ્લા છ મહિનાથી કોરોનાના વાઇરસને કારણે શાળા-કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આ સંદર્ભમાં લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર શાળા-કોલેજો ખોલવા અંગે કોઇ નિર્ણય જાહેર કરે. જો કે ભારતમાં અત્યારે કોવિડ-૧૯ના કેસ ૩૩ લાખને વટાવી ગયા છે તે જોતાં નજીકના ભવિષ્યમાં શાળા-કોલેજો ખૂલવાની કોઇ સંભાવના જણાતી નથી.
ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરાઇ નથી
શાળા-કોલેજોની સાથે કોરોના વાઇરસને કારણે હજુ પણ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરાઇ નથી. દેશનાં કેટલાંક શહેરોમાં કેટલીક સ્પેશિયલ ટ્રેન સેવાઓ ચાલુ છે, પરંતુ સામાન્ય ટ્રેન સેવાઓ હજુ ચાલુ કરવામાં આવી નથી. એ જ રીતે દિલ્હીની લાઇફલાઇન અને મુંબઇની જીવાદોરી ગણાતી અનુક્રમે મેટ્રો ટ્રેન અને લોકલ ટ્રેન ચાલુ થવા અંગે હજુ પણ શંકા પ્રવર્તે છે.
મેટ્રો ટ્રેન સેવાને ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાય તેવી શકયતા
જોકે કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રો ટ્રેન સેવાને ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાય તેવી શકયતા છે. મેટ્રો ટ્રેન સેવા માટે કોન્ટેકટલેસ ટિકિટિંગ સેવા લાગુ કરવામાં આવશે અને પ્રવાસીઓને હવે ટોકનનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં અપાય.
સિનેમાગૃહો પણ બંધ રાખવામાં આવશે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિનેમાગૃહો પણ બંધ રાખવામાં આવશે. કારણ કે રપથી ૩૦ ટકા ક્ષમતા ધરાવતા શોનું સંચાલન કરવું શકય નથી. અનલોક-૪.૦ સાથે બાર સંચાલકોને કાઉન્ટર પર શરાબ વેચવાની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ આ મંજૂરી ગ્રાહકો દ્વારા શરાબને ઘરે લઇ જવા માટે અપાશે એટલે કે હજુ પણ બારમાં બેસીને શરાબ પીવા પર પ્રતિબંધ ચાલુ રહેશે.
ઝારખંડમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને કેન્દ્ર સરકાર જાહેર કરે તે પહેલાં જ રાજ્યમાં આગામી અનલોક-૪.૦ની ગાઇડલાઇન જારી કરી દીધી છે. અનલોક-૪.૦નો આ તબક્કો રાજ્યમાં ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. નવી ગાઇડલાઇનમાં કોઇ ખાસ છૂટછાટ આપવામાં આવી નથી.