રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વડોદરામાં 14 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ થઇ ગયું છે. જ્યારે તંત્ર દ્વારા બચાવ કામગીરી યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 48 ટકા વરસાદ વરસ્યો છે પણ રાજ્યના કુલ 204 જળાશયોમાં 29.35 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે અત્યાર સુધીમાં 2 જળાશયોમાં 100 ટકા ભરાઇ ગયા છે. જ્યારે 39 જળાશયો 25થી 50 ટકા સુધી ભરાયા છે. તો 8 જળાશયો 70થી 100 ટકા અને 13 જળાશય 50થી 70 ટકા વચ્ચે ભરાઇ ગયા છે.
કયા ડેમમાં કેટલી પાણીની આવક થઇ છે તેની વાત કરીએ તો. ઉકાઈ ડેમમાં 84 હજાર 763 ક્યુસેક પાણીની આવક થઇ છે જ્યારે દમણગંગામાં 62 હજાર 825 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 9 હજાર 676 ક્યુસેક, ઓઝત-2માં 1 હજાર 812 ક્યુસેક અને કરજણ ડેમમાં 7 હજાર 600 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ધરોઈ ડેમમાં 3 હજાર 55 ક્યુસેક પાણીની આવક થઇ છે.
જ્યારે પાણીના જથ્થાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 15.51 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.77 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 જળાશયોમાં 19.13 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 15.92 ટકા પાણીનો જથ્થો છે. એટલે કે રાજ્યના કુલ 204 જળાશયોમાં 29.35 ટકા પાણીનો જથ્થો છે.