કાશ્મીર સમસ્યા પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રે ભારતીય સરકારને જમ્મુ કાશ્મીરના નાગરિકોને તેમના અધિકાર પાછા આપવા ટકોર કરી.
5મી ઓગષ્ટે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી અને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેચી દેવાને 86 દિવસ થઈ ગયા છતાં હજુ કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ શકી નથી.86માં દિવસે પણ બજારો સજ્જડ બંધ અને માર્ગો પર પરિવહન બંધ જોવા મળ્યું હતું.
કાશ્મીરમાં ઘણી મોટી વસ્તી તેમના અધિકારોથી વંચિત છે: રૂપર્ટ કૉલવિલ
'કાશ્મીરમાં ઘણી મોટી વસ્તી તેમના અધિકારોથી વંચિત છે અમે તેના પર ખુબ ચિંતિત છીએ અને અમે ભારતના અધિકારીઓને હાલમાં જે માનવઅધિકારથી લોકો વંચિત છે તેને સામાન્ય નાગરિકોને પાછા આપવા કહ્યું છે' સંયુક્ત રાષ્ટ્ર હ્યુમન રાઈટ્સ હાઈકમિશ્નરના પ્રવક્તા રૂપર્ટ કૉલવિલે કહ્યું. જોકે ઘણા પ્રતિબંધોને ત્યાંથી હટાવવામાં પણ આવ્યા છે.
કાશ્મીર વિષય પર પ્રેસને સંબોધન
કાશ્મીર વિષય પર પ્રેસને સંબોધતા રૂપર્ટ કૉલવિલે કહ્યું 'અઘોષિત કર્ફ્યું જમ્મુ અને લદ્દાખના ઘણા વિસ્તારોમાંથી થોડાક જ દિવસમાં હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ કાશ્મીર ઘાટીના મોટા ભાગનાં વિસ્તારોમાં આજે પણ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. લોકો શાંતિપૂર્વક પણ તેમના પ્રતિભાવ મૂકી શકતા નથી. લોકોની ધર્મ આસ્થા, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.'
નાગરિકો અને સુરક્ષાદળો વચ્ચે હિંસા થવાના અહેવાલ પ્રાપ્ત થયા: રૂપર્ટ કૉલવિલ
'અમને ઘણા અહેવાલ પ્રાપ્ત થયા છે તેમાં વિરોધ કરી રહેલા લોકો પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે તેવી જાણકારી મળી છે. સુરક્ષાદળો દ્વારા નાગરિકોને ધમકાવવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે અને નાગરિકો અને સુરક્ષાદળો વચ્ચે હિંસા થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.'રૂપર્ટ કૉલવિલે જણાવ્યું.
સોમવારે થયો હતો આતંકી હુમલો
સોમવારે જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો.આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવી ગ્રેનેડ ફેંક્યો. હુમલામાં એક મહિલા સહીત પંદર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણની હાલત અત્યંત ગંભીર હતી.ઈજાગ્રસ્ત લોકોમાંથી બેને શ્રીનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવા હતા.