બ્રિટનની સંસદમાં બ્રેક્ઝિટ અંગેની ચર્ચા હવે એક નવા મુદ્દા પર પહોંચી ગઈ છે. આ કારણે બ્રિટન એક નવા બંધારણીય સંકટ તરફ આગળ વધી રહ્યું છે. તેને કારણે અહીંની સંસદીય પરંપરામાં નવી ચર્ચા શરૂ થઈ છે. જો કે સંસદીય પરંપરામાં આ અવરોધ સામાન્ય ગણાય છે, પરંતુ બ્રિટનમાં સંસદની સ્પષ્ટ સર્વોચ્ચતાને કારણે આ ચર્ચા ખાસ મહત્વ ધરાવે છે.
બ્રિટનમાં બંધારણીય સંકટ
ભારતના બંધારણ સાથેનું ખાસ છે કનેક્શન
યુકેમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદ અહીં સર્વોપરી છે. તેથી ન્યાયિક સક્રિયતાની સ્થિતિ ઓછી ઉત્પન્ન થાય છે. અત્યાર સુધીના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની ન્યાયિક સક્રિયતા જોવા મળી નથી. ભારતની સંસદીય પરંપરામાં તો ઘણા વર્ષોથી સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની સર્વોચ્ચતા પર ચર્ચા ચાલતી આવી છે. હાલમાં ભારતે પોતાની વ્યવસ્થા અને બંધારણ અનુરુપ વ્યવસ્થા સ્થાપિત કરી છે, પરંતુ બ્રિટનમાં આ સમસ્યા નવી છે.
આ એક મોટી બંધારણીય કટોકટીનું સ્વરૂપ પણ લઈ શકે છે. હકીકતમાં બ્રેક્ઝિટ મુદ્દે લડત આપી રહેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને સંસદને પાંચ અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. બંધારણવાદીઓમાં આ મામલો જોર પકડતો જાય છે કે આખરે બ્રિટનની સંસદીય વ્યવસ્થામાં કોણ શ્રેષ્ઠ છે. વડા પ્રધાનના આ નિર્ણયને ભારતીય મૂળની બ્રેક્ઝિટ વિરોધી જીના મિલરે બ્રિટિશ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
બાદમાં તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં રિફર કરવામાં આવ્યો હતો. બ્રિટનની સુપ્રીમ કોર્ટે ભારતવંશી નેતાની આ અરજીની સુનાવણી કરતી વખતે આ નિર્ણયને ગેરબંધારણીય
ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં અધ્યક્ષ બ્રેન્ડા હેલે તેમના ચુકાદામાં કહ્યું હતું કે, મહારાણીને સંસંદને સ્થગિત કરવા સૂચન કરતો નિર્ણય ગેરકાયદે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય 11 ન્યાયાધીશો દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.
આ નિર્ણય લઈને વડા પ્રધાનને તેમના જ પક્ષની અંદર ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા સભ્યોએ પણ તેની આકરી ટીકા કરી છે. બીજી તરફ જૉનસને કહ્યું છે કે, યુરોપિયન યુનિયનથી અલગ થવાના મુદ્દે નિર્ણય લેવા તેમણે આ પગલું ભર્યું છે. વિપક્ષના સાંસદોએ બ્રિટનમાં આ નિર્ણયને મુદ્દો બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે, કે બ્રેક્ઝિટ માટે 31 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.