એક એવા અનોખા લગ્ન જો તમે ક્યારેય જોયા ન હોય.તો આ લગ્ન જોજો. જેમાં વરરાજા છે. વરઘોડો પણ છે. સ્વાદિષ્ટ જમણવાર પણ ખરો જ. બસ માત્ર ખોટ હતી તો એક કન્યાની જ. તમને નવાઈ લાગશે. પણ આવા જ એક અનોખા લગ્ન થયા સાબરકાંઠા જીલ્લામાં. જ્યાં આખું ગામે અનોખા લગ્ન સમારોહમાં જોડાયું...નાચ્યું...ગાયું અને જમ્યું પણ. તો કેમ કરવા કરવા પડ્યા આ કન્યા વિનાનાં લગ્ન. જોઈએ વી ટીવી ના આ વિશેષ અહેવાલમાં.
લગ્નના ઢોલ ઢબૂકી રહ્યા છે. મંગલ ગીતો ગવાઈ રહયા છે. જાનૈયાઓ મન મુકીને નાચી રહ્યા છે. વરરાજા પણ ઘોડા પર સવાર થઈને પોતાના લગ્ની મજા માણી રહ્યો છે...પરંતુ આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત રહેશે.
કેમકે,આ વરરાજાનું મિલન કોઈ કન્યા સાથે નહી પરંતુ તેની અંતરમની ઈચ્છાઓ સાથે થવાનું છે. હા,ઘોડા પર ચડી વાજતે - ગાજતે લગ્ન કરવા નીકળેલા આ યુવાનનું નામ અજય છે. જોકે પરિવારજનો અને ગામલોકો તેને પ્રેમથી પોપટ તરીકે બોલાવે છે.
ભલા અને માયાળું પરિવારજનો વચ્ચે કુદરતે ક્રૂરતા એ કરી છે કે હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો આ અજય ઉર્ફે પોપટ બાળપણથી જ દિવ્યાંગ છે. પરંતુ તેની બાળપણથી જ ઈચ્છા હતી કે તેનો પણ વરઘોડો નીકળે. આખરે વરઘોડો નીકળ્યો અને એ પણ વાજતેગાજતે નીકળ્યો.
આન, બાન અને શાન સાથે નીકળ્યો...ઝાકમઝોળ સાથે નીકળ્યો..કેમ તે આ લગ્ન કોઈ કન્યા સાથે નહીં પરંતું અંતરમનની ઈચ્છા સાથે થવાના હતા. અજયના પિતાને પોતાના દીકરાની ઈચ્છા પૂરી થયાનો સંતોષ હતો તો બહેનનના ચહેરા પર ભાઈના લગ્નનો હરખ ઊડીને આંખે વળગતો હતો.
અજય ભલે દિવ્યાંગ રહ્યો પરંતુ આખા ગામનો પ્રેમ તેના પર વરસે છે. ચાંપલાનાર ગામમાં ગમે તેનું લગ્ન હોય કે પછી હોય નવરાત્રી. નાચવામાં અજય સૌથી પહેલા હોય. ગામમાં ગમે તેના ઘરનો શુભ પ્રસંગ દિવ્યાંગ અજયના નાચ્યા-કૂદ્યા વિના દરેકને અધૂરો જ લાગે. નાચવા-કૂદવામાં ખૂબ જ રસ ધરાવતો અજય બીજાના લગ્નના વરઘોડા જોઇને હમેશા પોતાના પરિવારજનોને પૂછતો કે એના લગ્ન ક્યારે થશે???? અને આ સવાલ સાંભળી એના પિતા અને સાવકી માતાની આંખમાં આંસુ આવી જતા.
હા અજયની માતાના અવસાન બાદ તેની સાવકી માતા અને તેના પિતા જ અજયની દેખરેખ રાખે છે. પરંતુ કહેવાય છેને કે મામામાં માતાનો બેવડો પ્રેમ છૂપાયેલો હોય છે. અજયના મામાએ પોતાના દિવ્યાંગ ભાણેજની ઘોડે ચડવાની ઈચ્છા પૂરી કરવા અદ્દલ લગ્ન જેવો જ તામજામ ગોઠવ્યો. કંકોતરી પણ છપાવી અને સગાઓને આમંત્રણ આપ્યાં. વરઘોડા પર અજય આખા ગામમા મહાલ્યો.જાનૈયાઓ મન મૂકીને નાચ્યા. અજય પણ પોતાના લગ્નમાં નાચ્યો અને ગ્રામજનોએ ભોજન સમારંભ પણ હોંશે હોંશે માણ્યો.
ઉલ્લેખનીય છે કે, માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા. પરંતુ તેમના મનમાં લગ્નનાં ઓરતા તો હોય જ છે. ભલે લગ્ન વિશેની તેમની કલ્પના જુદી હોય. ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો છે કે, તેના ઓરતા પરિવારે વાસ્તવિકતામાં પલટી નાખ્યા. ભલે આ લગ્નમાં કન્યામિલન ન હોય પરંતુ એક જીવની અંતરમનની ઈચ્છા તૃપ્ત થઈ તેનાથી બીજી મોટી બાબત કઈ હોઈ શકે?