એક એવું રામ મંદિર જ્યાં નથી કોઈ મૂર્તિ કે ફોટો. મંદિરમાં ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકોની કરવામાં આવી છે સ્થાપના.
ભગવાન રામના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી
સુરતમાં અનોખું રામનામ જાપ મંદિર
950 કરોડ લેખિતમાં રામનામ જાપનું મંદિર
આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર મહિનાની સુદ નોમના દિવસે રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાતમાં આજે ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રામ નવમીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમે આપને એક એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં કોઈ તસવીર કે પ્રતિમા મૂકવામાં આવી નથી ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકો છે. આ મંદિરમાં વચ્ચે રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે.
મંદિરમાં નથી કોઈ તસવીર કે પ્રતિમા
સુરતમાં તાપી નદીના કિનારે અડાજણ પાલ વિસ્તારમાં એક અનોખું રામ નામ જાપ મંદિર બન્યું છે. વિશ્વશાંતિના હેતુ અર્થે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ભગવાન રામની કોઈ તસવીર કે પ્રતિમા નથી, મંદિરમાં ફક્ત રામ નામના મંત્ર લખેલા પુસ્તકો છે.
મંદિર પરિસરમાં બનાવવામાં આવ્યો છે રામ સ્તંભ
સાથે જ મંદિરના પરિસરમાં એક રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. જેની ઊંચાઈ 51 ફૂટ છે. રામ નામ લખેલા પુસ્તકોને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ મંદિરમાં 950 કરોડ મંત્રો સ્થાપિત થયા છે. મંદિરમાં રામનામ મંત્રનો લક્ષ્ય 1100 કરોડ છે.
'રામ સે બડા રામ કા નામ' આ સિદ્ધાંત પર બનાવાયું મંદિર
રામ નામ જાપ યજ્ઞ શરૂ કરનાર દીપકભાઈએ જણાવ્યું કે, રામયણમાં જે સિદ્ધાંત છે કે 'રામ સે બડા રામ કા નામ' આ સિદ્ધાંત પર અમે પહેલા રામના મંત્ર લખાવ્યા છે, હું નાનો હતો ત્યારથી હું મંત્ર લેખન કરતો હતો. ત્યારથી જ મેં સંકલ્પ કરેલો કે હું મોટો થઈશ ત્યારે હું પણ રામ નામ બેંક ચલાવીશ. છેલ્લા 25 વર્ષથી મારા ઘરે આ સેવા ચાલું જ હતી. ત્યારે એક હજાર જેટલી ચોપડીઓ છપાતી અને એકાદ વર્ષ નીકળી જતું. મારી જેમ ભદ્રેશભાઇ પણ રામ નામ બેંક ચલાવતા હતા. જેથી અમે બંને ભેગા થયા અને સંકલ્પ કર્યો કે વધારે ચોપડીમાં મંત્ર લખાવીએ.
થઈ ચૂક્યું છે 950 કરોડ મંત્ર લેખન
તેમણે જણાવ્યું કે, જે બાદ અમે 125 કરોડનો ટાર્ગેટ અમે રાખ્યો. આ ટાર્ગેટ 3થી 6 મહિનામાં જ પૂરો થઈ ગયો. ત્યારપછી લોકોને ચોપડી જોઈતી જ હતી. જે બાદ 555 કરોડનો ટાર્ગેટ કર્યો એ પણ પૂરો થઈ ગયો. 950 કરોડ મંત્ર લેખન થઈ ચૂક્યું છે. અમારો ટાર્ગેટ 1100 કરોડ મંત્ર લેખનનો છે. હવે સવાલ આવ્યો કે આ મંત્ર લખેલા પુસ્તકોનું શું કરવું. એટલે વિચાર આવ્યો કે રામની પ્રતિમા હોય જ છે, એટલે અમે એમના નામની પ્રતિમા બનાવીએ. દીપકભાઈએ જણાવ્યું કે,'રામે સે બડા રામ કા નામ'ના સિદ્ધાંત પર અમે આ મંદિર બનાવ્યું છે. આ દિવ્ય શક્તિને અમે અહીં સંગ્રહિત કરી છે, લોકોને તેની પ્રદક્ષિણા ફરી રહ્યા છે
છેલ્લા ઘણા વર્ષોથી ભક્તો લખી રહ્યાં છે રામનામ જાપ
મંદિરના ટ્રસ્ટી ભદ્રેશભાઇએ જણાવ્યું કે, આ મંદિર વિશ્વશાંતિના હેતુ અર્થે નિર્માણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો રામ નામ જાપ લખીને નોટબુક અહીંયા મોકલાવે છે.