જામકંડોરણા પંથકના હજારો ખેડૂતોને ડુંગળીના નકલી બિયારણથી મોટું નુકસાન, કંપની સામે વિરોધ નોંધાવી વળતરની કરી માંગ
જામકંડોરણા પંથકના ખેડૂતોનો અનોખો વિરોધ
હજારો ખેડૂતો ડુંગળીના નકલી બિયારણથી છેતરાયા
કંપની દ્વારા વેચવામાં આવેલા બિયારણથી છેતરાયા
જામકંડોરણા પંથકના હજારો ખેડૂતો ડુંગળીના નકલી બિયારણથી છેતરાયા હોવાનું સામે આવ્યું છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે કંપની દ્વારા વેંચવામાં આવેલ બિયારણથી છેતરાયા હોવાના આક્ષેપો કરી અંદાજીત ૧૫૦ જેટલા ખેડૂતોએ એકત્રિત થઇ અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
ડુંગળીનું નકલી બિયારણ ખેડૂતોને પધરાવ્યું
જામકંડોરણા પંથકના ખેડૂતો આ વર્ષ ડુંગળીનું પુષ્કળ વાવેતર કરેલ છે પરંતુ આ ડુંગળીના નકલી બિયારણથી છેતરાયા હોવાનું સામે આવ્યું છે જેમાં ખેડૂતોએ વાવેલ બિયારણ નકલી આવ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું જેથી તેમની ડુંગળીનો કોઈપણ વિકાસ નથી થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું જેથી આ ખેડૂતો હાલ નુકશાની ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેથી આ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે સાથે બિયારણની કંપની સામે રોષે ભરાયા છે અને નુકશાની અંગે વળતરની માંગ કરી રહ્યા છે.
ત્રણ ગણો સમય વીત્યા છતાં વિકાસ માત્ર વીસ ટકા
જે રીતે ડુંગળીનો પાક નિયત સમયમાં તૈયાર થઇ જતો હોઈ છે તેના કરતા આ ડુંગળીના બિયારણમાં ત્રણ ગણો સમય વીત્યા છતાં વિકાસ માત્ર વીસ ટકા જેટલો જ જોવા મળે છે જેથી ખેડૂતો સાથે કંપની દ્વારા છેતરપીંડી કરી અને નકલી બિયારણ આપી દીધું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો લગાવી રહ્યા છે ઉપરાંત સમગ્ર બાબતે વિક્રેતા અને કંપનીનો સંપર્ક કરતા કંપની અને વિક્રેતા દ્વારા ગલ્લા-તલ્લા થઇ રહ્યા છે તેવું પણ આ ખેડૂતોએ જણાવ્યું હતું.
ડુંગળીને ક્રિકેટ બોલ તરીકેનો ઉપયોગ
સમગ્ર બાબતે છેતરાયેલા ખેડૂતો માંથી અંદાજીત ૧૫૦ જેટલા ખેડૂતોએ ડુંગળીના નકલી બિયારણને લઈને એકત્રિત થઇ અને ડુંગળીને ક્રિકેટ બોલ તરીકેનો ઉપયોગ કરીને ક્રિકેટ મેચનું આયોજન કરેલ હતું ત્યારે જે પણ ખેડૂતોએ આ ક્રિકેટ રમી અને વિજેતા થયા હતા તે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે ડુંગળીના બિયારણની કંપનીના બોક્ષ અને ડુંગળીની ભેટ આપી અને સમગ્ર બાબતે કંપની દ્વારા અપાયેલ નકલી બિયારણ પ્રત્યે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. સાથે ડુંગળીના બિયારણના બોક્ષ સાથે સુત્રોચ્ચાર પણ કર્યા હતા હાલ તો આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કંપની દ્વારા કરવામાં આવેલ છેતરપીંડી અને નકલી બિયારણ અંગે મસ મોટું કારસ્તાન ખુલે તેવું ખેડૂતોએ જણાવેલ હતું.
VTV ગુજરાતીના સળગતા સવાલ
ખેડૂતોને ન્યાય ક્યારે મળશે?
વિક્રેતા કે કંપની કેમ ખેડૂતોને નથી આપતી જવાબ?
નકલી બિયારણથી ખેડૂતોને નુકસાની થઇ તેનું શું?
શું ખેડૂતોને નુકસાનીનું વળતર કંપની આપશે?
નકલી ડુંગળીનું બિયારણ આપનાર કંપની સામે કાર્યવાહી ક્યારે?