ખારા પાણીને સુદ્ધ કરતુ ભારતનું પહેલું ડિવાઈસ બનાવ્યું : આ ડિવાઈસ બનાવવા ૧૫ વાર નિષ્ફળ ગયા હતા.પરંતુ હિમત હાર્યા વગર પોતાના કામને વળગી રહ્યા
સુરતના યુવાનોની મહેનત લાવી રંગ
ખારાપાણીને મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ
સોલાર પાવરથી સંચાલિત ડિવાઈસ
લક્ષ્ય નક્કી હોય અને યોગ્ય દિશામાં અથક મહેનત હોય તો માનવી માટે કોઈ કામ અશક્ય નથી. આ વાત હવે સુરતના છે યુવાઓએ સાબિત કરી બતાવી છે. સુરતના ચાર યુવાનો અને એક યુવતીએ મળીને દરિયાના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ અને મીઠું પાણી બનાવી આપ્યું છે. આ યુવાઓએ પોતાની કુશાગ્ર બુદ્ધિ ક્ષમતાથી સોલાર પાવરથી સંચાલિત એવું ડિવાઈસ બનાવ્યુ છે જે ભવિષ્યમાં જળસંકટની સમસ્યાના નિવારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
યુવા સાહસિકોનું ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ
આપણા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દરવર્ષે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ જળસંકટ સર્જાય છે. રાજ્યના અનેક વિસ્તોરમાંથી પાણીના પોકારો ઊઠવા લાગે છે. જો કે, રાજ્ય સરકાર પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. એટલે જ તો નલ સે જલ યોજના દ્વારા છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનું અવિરત કાર્ય થઇ રહ્યું છે. ત્યારે સરકારના આ ભગીરથ કાર્યને વધુ વેગ આપવા રાજ્યના સુરતના કેટલાક યુવાઓએ પહેલ કરી છે. વાત એમ છે કે, આ યુવાનોએ દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા માટેની ટેકનિકનો આવિષ્કાર કર્યો છે. આ સ્ટાર્ટ અપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધ્યો છે. સુરતના આ પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાથી સંચાલિત યંત્રની શોધ કરી છે.
સુરત જિલ્લાના ઓલપાડમાં ઊભો કર્યો પ્લાન્ટ
આ સાહસિક અને સંશોધક યુવાઓની ટીમે સુરત જિલ્લાના ઓલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઉભો કર્યો છે, એ પ્લાન્ટમાં પ્રતિ લિટર માત્ર ૫૦ થી ૫૫ પૈસાના ખર્ચે દરરોજ ૨૦૦૦ લિટર ખારા પાણીને શુદ્ધ કરી શકાય છે. ઉપરાંત આ પ્લાન્ટ દ્વાર આડપેદાશ રૂપે પ્રતિ લીટર પાણીમાંથી ૩૫ ગ્રામ સિંધવ લૂણ પણ મળે છે. આ પ્લાન્ટ વિકસાવવા માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને રાજ્ય સરકારના સ્ટાર્ટ અપ ગુજરાત યોજના હેઠળ રૂ.૩૦ લાખની સહાય મળી છે. તેમણે આ ઉપકરણનું પેટન્ટ પણ કરાવ્યું છે. ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હેઠળ સરકાર દ્વારા પેટન્ટ માટે રૂ.૨૫૦૦૦ની સહાય પણ આપવામાં આવી છે.
૧૫ વાર નિષ્ફળતા મળી
મહત્વની વાત એ છે કે, આ ઉપકરણના સંશોધન દરમિયાન યુવાનોને ૧૫ વાર નિષ્ફળતા મળી હતી, પરંતુ હિંમત હાર્યા વિના તેઓ સતત પરિશ્રમના પથ પર પરસેવાના શસ્ત્રથી લડતા રહ્યા. અને આખરે જહેમતનો ૧૬મો પ્રયત્ન યુવાઓના લલાટે સિદ્ધિનું કુમકુમ તિલક કરવા આવ્યો. તેમની મહેનત એવી તો રંગ લાવી કે આજે સોશિયલ મીડિયા અને માધ્યમોએ પણ તેની નોંધ લેવી પડી છે.
લોકોને જળસંકટથી બચાવવાનો ઉદ્દેશ
યુવાઓએ વિકસાવેલી આ ડિવાઈસથી ખારા પાણીમાંથી બનતું મીઠું પાણી મિનરલયુક્ત તો છે જ સાથે સાથે પાણીજન્ય રોગોમાં રાહતરૂપ છે. આ યુવાઓનું કહેવું છે કે, તેમને પાણીની સમસ્યા વિશે સમાચારો જોયા-વાંચ્યા પછી દૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી પાણીનો પુનઃ ઉપયોગ થઈ શકે એવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ આ પાંચ મિત્રોની ટીમે કોલેજકાળના એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન જ પાણીને પીવાલાયક બનાવવા ‘સોલેન્સ એનર્જી’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું હતું.
ઓપરેશનલ અને મેન્ટેનન્સ ખર્ચ આવતો નથી
મહત્વની વાત એ છે કે,આ ટેક્નિકમાં એક્સર્ટનલ પાવર સપ્લાયની જરૂર રહેતી નથી, તેમજ ઓપરેશનલ અને મેન્ટેનન્સ ખર્ચ આવતો નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્ટાર્ટ અપ યોજના હેઠળ મળતી સહાયથી યુવાઓને આ ક્ષેત્રમાં કામ કરવાનું નવું બળ મળ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ જ્હાન્વી રાણાની દેખરેખ હેઠળ તૈયાર થયો છે. યુવાનો આ ડીવાઈસ થકી છેવાડા ના ગામડા સુધી પીવા લાયક પાણી પોહ્ચાડવા માંગે છે