કોરોનાને પગલે દરેક લોકો એવા પ્રયાસ કરી રહ્યા છે કે વધુમાં વધુ અવેરનેશ ફેલાય જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય. ત્યારે બીજી તરફ લોકડાઉનની સ્થિતિમાં લોકો ડિપ્રેશનનો શિકાર ન બને અને ઘરમાં જ રહે તે માટે સરકાર દ્વારા અનેક ટીવી સિરિયલો શરુ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના પુંસરી ગામે એવો અનોખો સુંદર પ્રયોગ કર્યો છે કે તમે પણ કહેશો વાહ...
પુંસરી ગામમાં ભવાઈ શરુ કરાઈ પણ એવી રીતે કે લોકો ઘરેથી જોઈ શકે
ટ્રેક્ટર ઘર આંગળે જઈ મનોરંજન પુરુ પાડે છે
આજે પણ ભવાઈ અવેરનેશનું માધ્યમ સાબિત થયુ
કોરોનાના કહેરની વચ્ચે લોકો લોકડોઉનનું ચુસ્ત પાલન કરે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. લોકો મનોરંજન માટે હાલ સોશિયલ મીડિયા, ટીવી કે વેબસિરિઝ પર વળ્યા છે. ત્યારે પુંસરી ગામે જૂની સંસ્કુતિને ફરી જીવીત કરી છે.
પુંસરી ગામમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન કરવાની સાથે સાથે કોરોનાની અવેરનેશ પણ ફેલાવાઈ રહી છે. મનોરંજનનની સાથે સાથે બાળકોને જૂની સંસ્કૃતિથી અવગત કરાવાઈ રહ્યા છે. અહીં ‘ભવાઈ’શરુ કરવામાં આવી છે.
પુંસરી ગામમાં 20 ફળીયા છે. એક ટ્રેક્ટર સાંજના 6થી 7.30 વાગ્યા સુધી દરેક ફળીયામાં 20 મિનિટ ઉભુ રહે છે. ટ્રેક્ટરમાં નાયક પરિવારના 5 લોકો હોય છે. જે મોઢે માસ્ક પહેરી ભવાઈ કરે છે. સ્પીર લગાવેલા હોઈ દરેકના ઘર સુધી તેમનો અવાજ પહોંચે છે. ભવાઈમાં કોરોના પર લખાયેલી ‘કોરોના ચાલીસા’નું પઠન પણ કરાય છે. તેઓ ભવાઈના માધ્યમથી લોકોમાં કોરોના અંગેની અવેરનેશ ફેલાવે છે.
આ ભવાઈ કાર્યક્રમના નિયમો એવા છે કે ફળિયા એવી રીતે છે કે ટ્રેક્ટર ઉભુ રહે છે અને બધા પોતાના ઘરના ઓટલે કે ઉમરે બેસીને ભવાઈ નીહાળે. કોઈને પણ બહાર નીકળવાની કે ટ્રેક્ટરની નજીક આવવાની પરવાનગી નથી.
આ ભવાઈ ભજવનારા લોકો સામાજીક મુદ્દાઓ અને લોકડાઉન દરમિયાન ઘરમાં ઉભી થતી સામાજીક સમસ્યા કે પતિ- પત્નીના મીઠા ઝઘડાને પણ આવરી લઈ લોકોને મનોરંજન પુરુ પાડે છે. સાથે સાથે લોકડાઉન તથા ખેડુતો માટેના સરકાર દ્વારા મળતા લાભ અને સ્કીમ અંગે પણ ભવાઈમાં વાત કરવામાં આવે છે.
પુંસરી ગામના સરપંચ હિમાંશુભાઈ જણાવે છે કે , આમ કરવાનું કારણ બાળકોને ભવાઈ અંગે માહિતગાર કરવાની સાથે લોકોમાં કોરોનાની અવેરનેશ ફેલાવાનું છે. તેમજ આનાથી 5 નાયક પરિવારને રોજગારી આપવાનું પણ છે. અમે ટ્રેક્ટરમાં સેનેટાઈઝર પણ રાખ્યા છે. જેથી ભવાઈ કરનારા ઉપયોગમાં લઈ શકે. અમારા ગામમાં નિયમ હોય એટલે બધા પાળે જ છે એટલે કોઈ ભેગુ થતું નથી.’