ડાકોરના ઠાકોરજીના દર્શન કરવાની ભક્તજનોમાં એક જુદી જ તલબ હોય છે. આ સાથે જ ડાકોર સુધી ચાલીને જવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. ત્યારે ડાકોર ચાલીને જતા પદયાત્રીઓ માટે ઠાકોરજીના ભાવિક ભક્તોએ સેવાના ધોધ વરસાવવા માટે તંબુઓ તાણવાનું શરૂ કરી દીધુ છે. ડાકોરના રણછોડરાયના દર્શને જવા પગપાળા સંઘો રવાના થયા છે. મહત્વનું છે કે, ફાગણી પૂનમે ડાકોરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે.
પદયાત્રીઓ માટે ઉભા કરાયા સેવા કેમ્પ
ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. ડાકોર જતા પદયાત્રીઓ માટે અનેક સંસ્થાઓ અને લોકો દ્વારા ઠેર-ઠેર કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જો પદયાત્રીઓ થાકે તો તેમને વિસામો મળી રહે અને ભુખ લાગે તો ભોજન મળી રહે એ માટે પણ કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સેવાભાવી લોકો સેવા આપી રહ્યા છે. સેવા આપનાર યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવાં જ એક કેમ્પમાં VTV ન્યૂઝની ટીમ પહોંચી હતી અને કેમ્પમાં સેવા આપી રહેલા લોકો સાથે વાતચીત કરી હતી.
અમે છેલ્લા 35 વર્ષથી યોજી છીએ કેમ્પઃ સેવા આપનાર
આ દરમિયાન VTV સાથેની વાતચીતમાં કેમ્પમાં સેવા આપનારે જણાવ્યું હતું કે, પદયાત્રીઓની સેવા કરવાની તર અમને મળી છે. અમે છેલ્લા 35 વર્ષથી આવી રીતે કેમ્પ યોજી છીએ. સૌથી પહેલા આ રોડ પર અમારો આ એક જ કેમ્પ કાર્યરત હતો. હાલ તો ઘણા લોકો કેમ્પ યોજી પદાયાત્રીઓની સેવા કરે છે.
અમારા માટે પદયાત્રી જ રાજા રણછોડ છેઃ સેવા આપનાર
અન્ય એક સેવાભાવી વ્યક્તિએ જણાવ્યું કે, અમારો કેમ્પ 35 વર્ષથી ચાલી રહ્યો છે. પહેલા અમારા વડીલો કેમ્પ યોજીને પદયાત્રીઓની સેવા કરતા હતા. હવે અમે પણ વડીલોની જેમ પદયાત્રીઓને સેવા આપીએ છીએ. અમારા માટે આ પદયાત્રી જ રણછોડરાય છે. અમારા માટે પદયાત્રી જ રાજા રણછોડ છે. અમારી દરેક મનોકામના રણછોડરાયજી પૂરી કરે છે.
ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ, જય ડાકોરના નાદથી સૌ કોઈ ડાકોર જવા નીક્ળી રહ્યાં છે. ત્યારે જશોદાનગર ચાર રસ્તાથી રિંગ રોડ સુધી સિટી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. જ્યારે રિંગ રોડથી ડાકોર તરફ રૂરલ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ બંદોબસ્તમાં SRPની ટીમ પણ તૈનાત છે.
ફાગણી પૂનમના મેળાને લઈ દર્શનના સમયમાં કરાયો વધારો
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળોને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે. મેળાને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમને લઈ દર્શનનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ તારીખ 6 માર્ચ સોમવારે ફાગણસુદ ચૌદસે સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે 5 વાગે મંગળા આરતી થશે. 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન થશે. 8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે. 8:30 થી 1:00 વાગ્યાં સુધી દર્શન કરી શકાશે. 1:00થી 1:30 દર્શન બંધ રહેશે. બપોરે 1:30થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે. દર્શન માટે 5:30 વાગ્યાં સુધી ખુલ્લું રહેશે. 5:30 થી 5:45 મંદિર બંધ રહેશે. 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:45 વાગે મંદિર બંધ થશે.
મંગળવારે સવારે 3:45એ ખુલશે મંદિરના કપાટ
બીજે દિવસે એટલે ફાગણ સુદ પૂનમ 7 માર્ચને મંગળવારે સવારે 3:45 વાગે મંદિર ખુલશે. સવારે 4:00 વાગે મંગળા આરતી થશે અને દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે. 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે. 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે. 2:30થી 3:00 સુધી દર્શન બંધ રહેશે. બપોરે 3:00થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 5:30થી 6:00 સુધી દર્શન બંધ રહેશે.
6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે.
8 માર્ચને બુધવાર ડોલોત્સવનો ઉત્સવ ઉજવાશે
8 માર્ચને બુધવાર ડોલોત્સવનો ઉત્સવની ઉજવણી કરાશે. સવારે 5:00 વાગે મંદિર ખુલશે. સવારે 5:15 વાગે મંગળા આરતી થશે. 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.9:00 થી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે. 3:30થી 4:00 સુધી દર્શન ખુલ્લા રહેશે. 4:30થી 5:00 સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5:00 વાગે નિજ મંદિર ખુલશે. 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર ભગવાન પોઢી જશે