લોકસભાની ચૂંટણી પહેલાં શામળાજી મંદિર ટ્રસ્ટે વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. આગામી લોકસભાની ચુંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને શામળાજી મંદિર ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે અનોખું મતદાન જાગૃતિ અભિયાન યોજાયું છે. પ્રસાદનાં પેકેટ અને થેલીઓ ઉપર મતદાન જાગૃતિ માટેના સ્ટીકર લગાવી મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયા છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની સત્તા હાંસલ કરવા માટે મતદારોને આકર્ષવા પુરજોશમાં પ્રયાસો કરાઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ 2019ની લોકસભાની ચૂંટણી સંપૂર્ણ લોકશાહી ઢબે થાય અને આ ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયત્નો ચૂંટણીપંચ દ્વારા પણ હાથ ધરાઈ રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં આ વખતે 100 ટકા મતદાન થાય તે માટે પ્રશાસન દ્વારા ગતિવિધિઓ તેજ કરી પ્રચાર પ્રસાર જુંબેશ બનાવાઈ છે. તેમાં પછી જાગૃતિ અંગેના પ્રદર્શનો, બેનરો, નિદર્શન અને ભવાઈ જેવા જુદા જુદા માધ્યમોનો ઉપયોગ સર્વ સામાન્ય છે. ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મતદાન જાગૃતિ લાવવા ધર્મનો અલગ અભિગમ અપનાવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા રાજ્યના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવતા ભક્તો દ્વારા ભગવાનને અપાતી ભેટની સામે અપાતા પ્રસાદીના લાડુની પ્રસાદની થેલીઓ ઉપર 'છોડો આપણા બધા કામ પહેલા કરીએ મતદાન' તેમજ 'નહીં કરીએ જો મતદાન તો આપણું થશે મોટું નુકશાન' જેવા સ્લોગન વાળા જાગૃતિ અંગેના સ્ટીકર લગાવી જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.
ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતે ધર્મના નામે મતદારોને 100 ટકા મતદાન તરફ રિજવવાનું આ જાગૃતિ અભિયાન કેટલા અર્થમાં સાર્થક નીવડે છે તે લોકસભાની ચૂંટણી બાદ ખબર પડશે. વહીવટી તંત્રનો આ પ્રયાસ દર્શનાર્થીઓ માટે પ્રસાદની થેલી ઉપરનું એક નજરાણું બન્યો છે.